કિશ્તવાડ જિલ્લાના ચોસીટી ગામમાં વાદળ ફાટવાથી ભારે તબાહી સર્જાઈ છે. આ દુર્ઘટનામાં બે CISF કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા 46 લોકોના મોત થયા છે, જ્યારે 160થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. તેમામાંથી 38ની હાલત ગંભીર છે. બચાવ દળોએ ચીકણો કાદવ અને ખડકમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢ્યા.
ઘટનાસ્થળે લોહીથી લથપથ મૃતદેહો, કાદવથી ભરાયેલા ફેફસાં, તૂટેલી પાંસળીઓ અને ઊંડા ઘા જેવી ભયાનક ઇજાઓ જોવા મળી. માચૈલ યાત્રાના બેઝ કેમ્પ ચોસીટીમાં સ્થાનિકો, સેના અને પોલીસના સહકારથી કાદવ ખોદીને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.
સ્થાનિક નેતાઓ હાજર
ભાજપના ધારાસભ્ય સુનીલ શર્મા અને કિશ્તવાડના ધારાસભ્ય શુગન પરિહારે બચાવ કાર્યમાં સહભાગી બની મૃતદેહોને સફેદ કફનથી ઢાંકી દીધા અને ઘાયલોને સહાય કરી. ઘણા બેભાન બાળકોને સ્થળ પર જ ડ્રિપ્સ આપવામાં આવી.
હોસ્પિટલમાં પથારીઓની અછતને કારણે દર્દીઓને જમીન પર સારવાર આપવામાં આવી. પદ્દર અને કિશ્તવાડના તબીબી સ્ટાફ અથોલી હોસ્પિટલમાં પહોંચ્યા. ઘાયલોને એમ્બ્યુલન્સ, ખાનગી અને અન્ય વાહનોમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા.
ગંભીર ઇજાઓ અને જોખમ
ડોક્ટરોના જણાવ્યા મુજબ, ઘણા પીડિતોના ગળા, ફેફસાં અને ઈજાઓમાં કાદવ ઘૂસી ગયો છે, જ્યારે કેટલાકના છાતી, માથા અને પગમાં ગંભીર ઇજાઓ છે. મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.





