ઉત્તર ચીનમાં આવેલી એક કોલસાની ખાણમાં થયેલા ભયાનક ગેસ વિસ્ફોટે સમગ્ર દેશમાં શોકનો માહોલ સર્જ્યો છે. Chinaના શાન્શી પ્રાંતમાં આવેલી લિયુશેન્યુ કોલસાની ખાણમાં થયેલા આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 90 લોકોના મોત થયા હોવાનું આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં જણાવાયું છે. આ દુર્ઘટના બાદ મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે, કારણ કે હજુ પણ અનેક મજૂરો ખાણની અંદર ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર, આ વિસ્ફોટ શુક્રવારે સાંજે ચાંગઝી શહેર નજીક આવેલા કિનયુઆન કાઉન્ટીની ખાણમાં થયો હતો. ઘટના સમયે ખાણમાં કુલ 247 મજૂરો કામ કરી રહ્યા હતા. વિસ્ફોટ પહેલા ખાણમાં કાર્બન મોનોક્સાઈડ ગેસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે એલર્ટ બાદ સુરક્ષા માટે શું પગલાં લેવાયા હતા તે અંગે હજી સ્પષ્ટતા કરવામાં આવી નથી.
પળવારમાં સર્જાયો વિનાશ
સ્થાનિક સમય અનુસાર સાંજે લગભગ 7:30 વાગ્યે ખાણની અંદર જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ખાણના અંદરના ભાગોમાં ભારે નુકસાન પહોંચ્યું હતું અને ઘણા મજૂરો અંદર જ ફસાઈ ગયા હતા. શરૂઆતમાં મૃત્યુઆંક 8 હોવાનું જણાવાયું હતું, પરંતુ રાતોરાત આ આંકડો વધીને 90 સુધી પહોંચી ગયો..
ચીનના સરકારી પ્રસારણ માધ્યમ CCTV એ જણાવ્યું કે બચાવ કામગીરી દરમિયાન મૃતદેહો બહાર કાઢવામાં આવતા મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. હાલ પણ રેસ્ક્યૂ ટીમો ખાણની અંદર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ઘટના બાદ ખાણ આસપાસનો સમગ્ર વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે અને તાત્કાલિક મેડિકલ ટીમો, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર રેસ્ક્યૂ દળોને કાર્યરત કરવામાં આવ્યા છે. ઘાયલ મજૂરોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: લેહમાં આર્મીનું ચીતાહ હેલિકોપ્ટર ક્રેશ : 3 અધિકારીઓનો ચમત્કારી બચાવ, જુના હેલિકોપ્ટર પર ફરી ઉઠ્યા સવાલો
શી જિનપિંગે આપ્યો કડક સંદેશ
દુર્ઘટના બાદ શી જિનપિંગએ તાત્કાલિક બચાવ કામગીરી ઝડપી બનાવવા માટે આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે ફસાયેલા તમામ મજૂરોને બચાવવા માટે “દરેક સંભવિત પ્રયાસ” કરવામાં આવે. સાથે જ તેમણે આ અકસ્માત માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે.
શી જિનપિંગે કહ્યું કે દેશના તમામ વિસ્તારો અને વિભાગોએ આ ઘટનામાંથી પાઠ શીખવો જોઈએ અને કામદારોની સુરક્ષાને લઈને વધુ સાવચેત રહેવું જોઈએ. તેમણે ઉદ્યોગો અને ખાણોમાં રહેલા જોખમો અને સુરક્ષાની ખામીઓની સંપૂર્ણ તપાસ કરવાની પણ સૂચના આપી છે. ચીનના પ્રીમિયર લી કિયાંગએ પણ બચાવ કામગીરીમાં કોઈ કસર ન રાખવા માટે અધિકારીઓને આદેશ આપ્યો છે. તેમણે દુર્ઘટનાના કારણોની ઝડપી તપાસ કરીને જવાબદાર લોકો સામે કડક પગલાં લેવા કહ્યું છે.
આ પણ વાંચો: ચીન એલન મસ્કની જાસૂસી કરતું હતું? વેટર બનીને પહોંચી ચીનની અધિકારી? : જાણો રિપોર્ટમાં શું થયો ખુલાસો
ચીનમાં ખાણ અકસ્માતો કેમ બન્યા મોટી ચિંતા?
ચીન વિશ્વના સૌથી મોટા કોલસા ઉત્પાદક દેશોમાંનો એક છે અને શાન્શી પ્રાંતને દેશનું મુખ્ય કોલસા ઉત્પાદન કેન્દ્ર માનવામાં આવે છે. આ પ્રાંતનું ક્ષેત્રફળ ગ્રીસ જેટલું મોટું હોવાનું કહેવાય છે અને અહીં આશરે 3.4 કરોડ લોકો વસે છે. માત્ર ગયા વર્ષે જ શાન્શી પ્રાંતમાંથી લગભગ 1.3 અબજ ટન કોલસાનું ઉત્પાદન થયું હતું, જે ચીનના કુલ કોલસા ઉત્પાદનના લગભગ એક તૃતીયાંશ જેટલું છે. ઊર્જાની વધતી માંગને કારણે અહીં મોટા પાયે ખાણકામ થાય છે.
પરંતુ કોલસા ખાણોમાં સુરક્ષા ધોરણો અંગે ચીન લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા સહન કરતું આવ્યું છે. ગેસ લીકેજ, આગ, ધરાશાયી થવા અને વિસ્ફોટ જેવી દુર્ઘટનાઓ ચીનની ખાણોમાં વારંવાર બનતી રહી છે. અનેક વખત ખાણ માલિકો દ્વારા સુરક્ષા નિયમોની અવગણના થવાના આરોપો પણ સામે આવ્યા છે.
ભારે વરસાદ અને કુદરતી જોખમોની ચેતવણી
આ ઘટનાની વચ્ચે ચીનમાં ભારે વરસાદ અને પૂર જેવી કુદરતી આફતોની સ્થિતિ પણ ચિંતાજનક બની રહી છે. શી જિનપિંગે દેશ હવે વરસાદી મોસમમાં પ્રવેશી રહ્યો હોવાનું જણાવી અધિકારીઓને પૂર નિયંત્રણ અને બચાવ તૈયારી મજબૂત બનાવવા માટે પણ કહ્યું છે. તાજેતરમાં હુનાન પ્રાંતના શિમેન કાઉન્ટીમાં ભારે વરસાદના કારણે ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા અને એક લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. સ્થાનિક પ્રશાસન અનુસાર હજુ પણ 14 લોકો ગુમ છે.
બચાવ કામગીરી પર સમગ્ર દેશની નજર
શાન્શીની ખાણ દુર્ઘટના બાદ સમગ્ર ચીનમાં શોક અને ચિંતા ફેલાઈ છે. ખાણ બહાર મજૂરોના પરિવારજનો પોતાના સગાસંબંધીઓ અંગે માહિતી મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ લોકો દ્વારા બચાવ કામગીરી ઝડપી બનાવવા અને ખાણ સુરક્ષાના કડક નિયમો લાગુ કરવાની માંગ ઉઠી રહી છે.





