જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા અને 26 લોકોની ઘાતકી હત્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં બંને દેશો વચ્ચે સૈન્ય સંઘર્ષ જોવા મળી શકે છે. આવા સમયે આ તણાવ વચ્ચે ચીનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડાર સાથે વાત કરી છે. ચાલો જાણીએ આ સમગ્ર મામલે ચીને શું કહ્યું.
શું છે ચીનનું વલણ?
ચીનના રાજ્ય મીડિયા અહેવાલ આપ્યો છે કે તેમના સમકક્ષ ઈશાક ડાર સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિષ્પક્ષ તપાસ માટે સમર્થન વ્યક્ત કર્યું છે. ચીને આશા વ્યક્ત કરી છે કે ભારત અને પાકિસ્તાન બંને સંયમ રાખશે અને તણાવ ઘટાડવા માટે સાથે મળીને કામ કરશે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે ચીનના વિદેશ મંત્રીને આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને તાજેતરની ઘટનાઓની જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ ઘણા પગલાં લીધા છે જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવા અને તમામ પાકિસ્તાની વિઝા પર પ્રતિબંધ વગેરેનો સમાવેશ થાય છે. વિઝા પ્રતિબંધ બાદ છેલ્લા 3 દિવસમાં અટારી બોર્ડર દ્વારા 537 પાકિસ્તાની નાગરિકો પોતાના દેશમાં પરત ફર્યા છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી ચીન દરેક મુદ્દા પર પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યું છે. ચીને પાકિસ્તાનને અબજો ડોલરની લોન આપી છે અને પાકિસ્તાનમાં મોટું રોકાણ પણ કર્યું છે.






