Home Gujarat Ahmedabad Chandkheda Ahmedabad Girl Death Case Fsl Report Poison Angle

ઢોંસા-ખીરા કાંડમાં માતા-પિતાના બ્લડનું સેમ્પલ લેતાં ફૂટ્યો ભાંડો : બાળકીઓનો પિતા વિમલ ખીરું લઈ ક્યાંથી ક્યાં ગયો તેની તપાસ થશે

ચાંદખેડા ઢોંસાનું ખીરું ખાઈ બીમાર પડેલા દંપતી
Published by: Chintan Chavda
Last Updated: Apr 09, 2026, 01:23 PM IST

Ahmedabad Crime News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બનેલી ઢોંસાના ખીરાના સેવનથી બાળકીઓના શંકાસ્પદ મોતની ઘટનાનો મામલો વધુને વધુ રહસ્યમય બનતો જાય છે. આ મામલો હવે ખરાબ ઢોંસાના ખીરા અને ફૂડ પોઈઝનિંગ નહીં પણ 'મર્ડર મિસ્ટ્રી' તરફ ઈશારો કરી રહ્યો છે. બે માસૂમ દીકરીઓના મોતના કેસમાં FSLના એવા ખુલાસા કે તમે પણ સ્તબ્ધ થઈ જશો.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના મોતના મામલે દરરોજ નવા વળાંકો આવી રહ્યા છે. આ ઘટનાએ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. શરૂઆતના તબક્કે જ્યારે આ સમાચાર વહેતા થયા ત્યારે દરેકને એમ જ લાગતું હતું કે ઢોંસાના ખીરામાંથી થયેલું ફૂડ પોઈઝનિંગ બે દીકરીઓનો ભોગ લઈ ગયું. પરંતુ, હવે ચિત્ર કંઈક અલગ જ ઉપસી રહ્યું છે.

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ના લેટેસ્ટ રિપોર્ટ અને અમદાવાદ પોલીસની આકરી તપાસે આ કેસની આખી થીયરી જ બદલી નાખી છે. ૪ વર્ષની મિશ્રી અને માત્ર ૩ મહિનાની રાહાના જે રીતે મોત થયા છે, તેની પાછળ હવે કોઈ અકસ્માત નહીં પરંતુ એક ગાઢ ષડયંત્ર અથવા તો દંપતી દ્વારા કરવામાં આવેલો સામુહિક આત્મહત્યાનો પ્રયાસ હોવાની આશંકાઓ સેવાય રહી છે. માતા-પિતાના શરીરમાંથી જે રીતે ઝેરી દ્રવ્યો મળી આવ્યા છે, તે જોતા આ મામલો હવે 'સામુહિક આપઘાત' તરફ આગળ વધતો જણાય છે.

દુર્ઘટના કે ષડયંત્ર?

આ ગોઝારી ઘટનાનો સિલસિલો ૧ એપ્રિલ, ૨૦૨૬ના રોજ શરૂ થયો હતો. ચાંદખેડામાં રહેતા વિમલ પ્રજાપતિ અને તેમના પત્ની ભાવનાબેને રાત્રિ ભોજનમાં ઢોંસા બનાવ્યા હતા. આ માટેનું ખીરું સ્થાનિક 'ઘનશ્યામ ડેરી'માંથી લાવવામાં આવ્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું. ભોજનના ગણતરીના કલાકોમાં જ આખા પરિવારની તબિયત લથડી અને જોતજોતામાં ૪ વર્ષની મિશ્રી અને ૩ મહિનાની દૂધ પીતી બાળકી રાહાએ દમ તોડી દીધો.

શરૂઆતમાં પરિવારે આરોપ મૂક્યો કે ખીરું બગડેલું હોવાથી ફૂડ પોઈઝનિંગ થયું છે. જોકે, પોલીસને પહેલેથી જ આ વાત ગળે નહોતી ઉતરી રહી. અહીં પ્રશ્ન ઊભો થાય છે કે, જો ઢોંસાનું ખીરું ખરેખર ઝેરી કે બગડેલું હોય, તો પરિવારના પુખ્ત સભ્યો બચી ગયા અને બંને બાળકીઓના જ મોત કેમ થયા? મહત્વપૂર્ણ વાત એ છે કે.. ૩ મહિનાની રાહા તો હજુ માત્ર માતાનું ધાવણ જ લેતી હતી. તેણે ઢોંસા ખાધા જ નહોતા, તો પછી ફૂડ પોઈઝનિંગથી તેનું મૃત્યુ કેવી રીતે થઈ શકે? આ એક એવો મુદ્દો હતો જેણે પોલીસને ઊંડી તપાસ કરવા માટે મજબૂર કરી.

FSL રિપોર્ટે ખોલ્યા રહસ્યો

પોલીસને શંકા ગઈ એટલે તેમણે ૭ એપ્રિલના રોજ એક આકરું પગલું ભર્યું. મૃત્યુ પામેલી નાની બાળકી રાહાના મૃતદેહને મેજિસ્ટ્રેટની હાજરીમાં કબરની બહાર કાઢવામાં આવ્યો (એક્ઝ્યુમેશન). વિડિયોગ્રાફી સાથે પોસ્ટમોર્ટમ કરીને તેના વિસેરાના નમૂના FSLમાં મોકલાયા. બીજી તરફ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વિમલ અને ભાવનાના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા.

હવે અહીં એક મહત્વનો મુદ્દો સમજવો જરૂરી છે જે એફએસએલના રિપોર્ટમાં બહાર આવ્યો છે. વિમલ અને તેની પત્નીના લોહીમાં 'એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ' (અનાજમાં નાખવાની ઝેરી ગોળીઓ) અને ઊંઘની દવાઓના અંશ મળી આવ્યા છે. વિશ્લેષણ કરીએ તો, આ પુરાવા ચીસ પાડીને કહી રહ્યા છે કે આ કોઈ ફૂડ પોઈઝનિંગનો કેસ નથી, પરંતુ શરીરમાં ઇરાદાપૂર્વક ઝેર દાખલ કરવામાં આવ્યું હતું.

વિમલ ખીરું લઈ ક્યાંથી ક્યાં ગયો તેની તપાસ

ડેરીથી લઈને વિમલના ઘર સુધી જેટલા પણ CCTV કેમેરા છે, તેના તમામ ફુટેજ ચેક કરાશે. વિમલ પ્રજાપતિ જે સમયે દુકાનમાંથી ઢોંસાનુ ખીરૂ લીધુ ત્યારે લઈને તે કેટલા વાગે ઘરે પહોંચે છે. તેના માટે પોલીસે CCTV ફૂટેજ તપાસવાના શરૂ કર્યાં છે. પોલીસ મિનિટ ટુ મિનિટનું મોનીટરીંગ કરશે. ઢોંસાનું ખીરૂ લઈને વિમલ સીધો ઘરે જ ગયો હતો કે પછી ક્યાંય રોકાયો હતો, તેની ઉંડાણ પુર્વક તપાસ થશે.

પિતાની હિલચાલ અને સીસીટીવી ફૂટેજથી ગુનાની કડીઓ જોડાઈ

FSL રિપોર્ટ બાદ પોલીસનો શક સીધો પિતા વિમલ પ્રજાપતિ પર સ્થિર થયો. પોલીસે વિમલના મોબાઈલ લોકેશન અને તેના આસપાસના દિવસોના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું. તપાસમાં જે સામે આવ્યું તે ચોંકાવનારું હતું. ચાંદખેડાની એક દુકાનના સીસીટીવી ફૂટેજમાં વિમલ પ્રજાપતિ જાતે જ અનાજમાં નાખવાની ઝેરી ગોળીઓ ખરીદતો કેદ થયો છે.

આ પુરાવો મળતા જ આખો કેસ 'સામુહિક આપઘાત'ના નિષ્ફળ પ્રયાસ અને માસૂમોની હત્યાની દિશામાં વળી ગયો છે. પોલીસની અત્યાર સુધીની થીયરી મુજબ, કદાચ આર્થિક ભીંસ અથવા પારિવારિક કંકાસના કારણે આ દંપતીએ આખા પરિવાર સાથે જીવન ટૂંકાવવાનો કારમો નિર્ણય લીધો હોઈ શકે. આ યોજના મુજબ વિમલે ઝેરી ગોળીઓ લાવી હશે અને તેને પત્ની સાથે મળીને ભોજન કે પીણામાં ભેળવી દીધી હશે તેવી પોલીસની આશંકા પણ હવે ઘેરાતી જાય છે.

બાળકીઓના શરીર નાજુક હોવાથી તેઓ આ ભયાનક ઝેરની અસર સહન ન કરી શકી અને મોતને ભેટી, જ્યારે માતા-પિતા બચી ગયા. ૩ મહિનાની બાળકીના કિસ્સામાં, માતાના ધાવણ મારફતે અથવા સીધું પ્રવાહીમાં ભેળવીને ઝેર અપાયું હોવાની પૂરી આશંકા છે.

શું મિશ્રી અને રાહાને ન્યાય મળશે?

શરૂઆતમાં આખા વિસ્તારમાં ડેરી સંચાલક વિરુદ્ધ જે રોષ હતો, તે હવે કરુણા અને આક્રોશમાં ફેરવાઈ ગયો છે. લોકો એ વિચારીને ધ્રૂજી ઉઠે છે કે શું એક પિતા પોતાની જ ફૂલ જેવી દીકરીઓ સાથે આવું કૃત્ય કરી શકે? જોકે કાયદો લાગણી પર નથી ચાલતો. કાયદાકીય રીતે જોઈએ તો, ભલે ઈરાદો આત્મહત્યાનો હોય, પણ પોતાના સંતાનોને ઝેર આપીને મારી નાખવા તે સીધો હત્યાનો જ ગુનો બને છે.

મહત્વપૂર્ણ વાત એ છે કે.. હાલમાં પોલીસ હોસ્પિટલમાંથી રજા મળતા જ માતા-પિતાની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવાની તૈયારીમાં છે. શું આ નિર્ણયમાં માતા ભાવનાની પણ મંજૂરી હતી? કે પછી પિતાએ જ એકતરફી રીતે આ ભયાનક પગલું ભર્યું?

પોલીસ હવે હત્યા, હત્યાની કોશિશ અને પુરાવાનો નાશ કરવા જેવી કડક કલમો હેઠળ ગુનો નોંધીને મિશ્રી અને રાહાને ન્યાય અપાવવા માટે તમામ ફોરેન્સિક પુરાવાઓ એકત્ર કરી રહી છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે માનસિક હતાશા જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે, ત્યારે તે કેવું કંપારી છૂટી જાય તેવું સ્વરૂપ ધારણ કરી શકે છે.

આ કિસ્સો સમાજમાં વધતી જતી માનસિક હતાશા અને તેના ભયાનક પરિણામો તરફ આંગળી ચીંધે છે. ફૂડ સેફ્ટીના નામે શરૂ થયેલો કેસ જ્યારે ઘરની અંદરના જ ષડયંત્રમાં ફેરવાય છે, ત્યારે તે સામાજિક સુરક્ષા અને કૌટુંબિક સંબંધો પર ગંભીર સવાલો ઉભા કરે છે. વાચકો માટે આ જાણવું જરૂરી છે કે કાયદાકીય તપાસ અને ફોરેન્સિક પુરાવા કઈ રીતે સત્ય બહાર લાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now