આચાર્ય ચાણક્ય દ્વારા રચિત નીતિશાસ્ત્રના સિદ્ધાંતો આજે પણ માનવ જીવન માટે તેટલા જ પ્રાસંગિક છે. ચાણક્યના મતે વ્યક્તિની સફળતા અને નિષ્ફળતા પાછળ તેની સંગતનો મોટો હાથ હોય છે. જો તમે ખોટા લોકોની સાથે રહો છો તો તે તમારા વિનાશનું કારણ બની શકે છે. ચાણક્ય નીતિમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે સુખી જીવન જીવવા માટે કયા લોકોથી દૂર રહેવું અનિવાર્ય છે.
દુષ્ટ વ્યક્તિ કરતા સાપ સારો: જાણો શું છે ચાણક્યનો તર્ક
આચાર્ય ચાણક્ય એક શ્લોક દ્વારા સમજાવે છે કે જો તમારે કોઈ દુષ્ટ વ્યક્તિ અને ઝેરી સાપ વચ્ચે પસંદગી કરવાની હોય, તો સાપની સંગત પસંદ કરવી જોઈએ. આ પાછળનું કારણ આપતા તેઓ જણાવે છે કે સાપ માત્ર પોતાના બચાવ માટે જ ડંખ મારે છે અથવા ચોક્કસ સમયે જ કરડે છે, જ્યારે દુષ્ટ વ્યક્તિ ડગલે ને ડગલે કોઈ પણ કારણ વગર તમને નુકસાન પહોંચાડી શકે છે. આવા લોકોનો સ્વભાવ જ બીજાને પીડા આપવાનો હોય છે, તેથી તેમનાથી અંતર જાળવવું જ હિતાવહ છે.
ખરાબ મિત્ર અને અયોગ્ય શિષ્યથી થાય છે અપયશ
ચાણક્યના મતે જેવી રીતે કોઈ દુષ્ટ રાજાના રાજ્યમાં પ્રજા ક્યારેય સુખી રહી શકતી નથી, તેવી જ રીતે ખોટા મિત્રની સાથે રહેવાથી ક્યારેય આનંદ પ્રાપ્ત થતો નથી. જો જીવનસાથીનો સ્વભાવ પણ કઠોર કે દુષ્ટ હોય તો ઘર ક્યારેય સુખનું ધામ બની શકતું નથી. આ ઉપરાંત અયોગ્ય કે શિસ્તહીન શિષ્યને ભણાવવાથી ગુરુને ક્યારેય યશ મળતો નથી. જીવનમાં શાંતિ જાળવી રાખવા માટે આવા નકારાત્મક તત્વોથી દૂર રહેવાની સલાહ ચાણક્ય આપે છે.
મીઠું બોલતા અને પીઠ પાછળ ઘા કરતા મિત્રોથી સાવધાન
મિત્રતાના વિષયમાં ચાણક્ય અત્યંત કડક સૂચના આપે છે. જે મિત્ર તમારી સામે મીઠી વાતો કરતો હોય પણ તમારી પીઠ પાછળ તમારા કામ બગાડતો હોય, તે ઝેર ભરેલા એવા ઘડા સમાન છે જેના મુખ પર દૂધ લગાડવામાં આવ્યું હોય. આવા કપટી મિત્રોનો ત્યાગ કરવામાં જ ભલાઈ છે. જે લોકો નજરમાં કંઈક અને મનમાં કંઈક બીજું રાખતા હોય તેઓ તમારા જીવનના સૌથી મોટા શત્રુ સાબિત થઈ શકે છે.
મિત્રતામાં પણ અત્યંત વિશ્વાસ કરવો જોખમી
ચોંકાવનારી વાત એ છે કે ચાણક્ય માત્ર ખરાબ મિત્ર જ નહીં પણ સારા મિત્ર પર પણ અતિશય વિશ્વાસ ન કરવાની સલાહ આપે છે. તેમનું માનવું છે કે જો ક્યારેક કોઈ કારણસર મિત્રતામાં ખટાશ આવે તો તે મિત્ર તમારા તમામ ગુપ્ત રહસ્યો જાહેર કરી શકે છે. તેથી પોતાની અંગત વાતો અને રહસ્યો કોઈને પણ કહેતા પહેલા સો વાર વિચાર કરવો જોઈએ. જીવનમાં સાવચેતી અને સમજદારી એ જ સફળતાની સાચી ચાવી છે.




















