ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સોની વેપારીઓ પર CGST વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વેરાવળના નામાંકિત સોની વેપારીઓને નિશાન બનાવી CGST જુનાગઢ ડિવિઝનની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરતાં સમગ્ર બજાર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
CGST ટીમ દ્વારા સર્ચ ઓપરેશન
પ્રાપ્ત માહિતી મુજબ, પરશુરામ દયારામ જવેલર્સના શોરૂમ પર CGST ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શાહ નગીનદાસ ભગવાનદાસની બે પેઢીઓ પર પણ CGSTના દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. એક સાથે અનેક જાણીતા સોની વેપારીઓ પર કાર્યવાહી થતાં વેપારી વર્ગમાં ફફડાટનો માહોલ સર્જાયો છે.
દસ્તાવેજોની વિગતવાર તપાસ
CGST જુનાગઢ ડિવિઝનની ટીમ દ્વારા શોરૂમોમાં રહેલી બિલ-બુક, કમ્પ્યુટર ડેટા તેમજ હિસાબી દસ્તાવેજોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. કરચોરી અંગેના સંદેહને આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
તપાસના ડરથી અનેક શોરૂમ અચાનક બંધ થઈ ગયા
GSTના દરોડા બાદ વેરાવળના બજાર વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે અને તપાસના ડરથી અનેક સોનીના શોરૂમ અચાનક બંધ થઈ ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. તપાસ પૂર્ણ થયા બાદ કરચોરીની સાચી રકમ કેટલી છે તે સ્પષ્ટ થશે. હાલમાં CGST વિભાગ તરફથી આ કાર્યવાહી અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. CGSTની તપાસ ચાલુ હોવાથી આગામી સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.





















