ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે શનિવારે પાકિસ્તાન સાથેના તાજેતરના સંઘર્ષમાં ફાઇટર પ્લેન ગુમાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પરંતુ છ ભારતીય વિમાનોને તોડી પાડવાના પાકિસ્તાનના દાવાને 'એકદમ ખોટો' ગણાવ્યો છે.
ભવિષ્યની રણનીતિ પર સીડીએસ ચૌહાણે શું કહ્યું
બ્લૂમબર્ગ ટીવીને આપેલા ઇન્ટરવ્યુમાં, તેમણે કહ્યું કે આપણા વિમાનો કેમ પડ્યા તે સમજવું વધુ મહત્વનું છે, જેથી ભવિષ્યની રણનીતિમાં સુધારો કરી શકાય. જનરલ ચૌહાણે કહ્યું, 'મારા માટે એ વધુ મહત્વનું છે કે વિમાનો કેમ પડ્યા' તેમણે સ્વીકાર્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન કેટલાક વિમાનો પડ્યા હતા, પરંતુ ભારતે તેમાંથી શીખ લીધી, અને બે દિવસમાં સુધારીને ફરીથી તેની રણનીતિ લાગુ કરી.
'અમે અમારી ભૂલો ઓળખી અને સુધારી'
તેમણે કહ્યું, 'અમે અમારી વ્યૂહાત્મક ભૂલો ઓળખી, તેમને સુધારી અને બે દિવસ પછી ફરીથી એયર ઓપરેશન શરૂ કર્યું. આ વખતે અમે લાંબા અંતરથી લક્ષ્ય ભેદ્યા. જ્યારે જનરલ ચૌહાણને પૂછવામાં આવ્યું કે શું પાકિસ્તાને ભારતના છ ફાઇટર પ્લેન તોડી પાડ્યા છે, ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, 'આ દાવો બિલકુલ ખોટો છે.'
એર માર્શલે પણ નુકસાન સ્વીકાર્યું
અગાઉ, ભારતીય વાયુસેનાના ડાયરેક્ટર જનરલ ઓફ એર ઓપરેશન્સ એર માર્શલ એકે ભારતીએ પણ 11 મેના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે 'યુદ્ધમાં નુકસાન સામાન્ય છે, પરંતુ અમારા બધા પાઇલટ્સ સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા છે.' તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન, વાયુસેનાએ સંપૂર્ણ તાકાતથી કામ કર્યું અને દુશ્મનને યોગ્ય જવાબ આપ્યો.
ઓપરેશન સિંદૂર શું છે?
ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા. 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ પછી, પાકિસ્તાને 8, 9 અને 10 મેના રોજ ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો. આ બદલામાં, ઘણા પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓને નુકસાન થયું હતું, જેમાં હવાઈ મથકો, રડાર સ્થળો અને કમાન્ડ સેન્ટરોનો સમાવેશ થાય છે.






