કેનેડાના ફોરેન ઈન્ટરફિયરન્સ કમિશને 16 મહિના સુધી તપાસ કર્યા બાદ કેનેડા સરકારને તેનો અંતિમ રિપોર્ટ સોંપ્યો છે. આ રિપોર્ટમાં કેનેડા સરકાર દ્વારા રચવામાં આવેલા આ કમિશને પાકિસ્તાન સરકાર પર કેનેડાની જમીનનો ભારત વિરુદ્ધ ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.
સાત વોલ્યુમના અહેવાલમાં, કેનેડાના વિદેશી હસ્તક્ષેપ આયોગે વોલ્યુમ 3માં The Government’s Capacity to Detect, Deter and Counter Foreign Interferenceના 12માં પાના પર પાકિસ્તાનને નિશાન બનાવ્યું છે . તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારતના વધતા પ્રભાવને રોકવા માટે કેનેડાની જમીનનો ઉપયોગ કરી રહ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખરાબ છે, તેથી પાકિસ્તાન કેનેડિયન સમાજમાં હાજર તત્વોનો ઉપયોગ પોતાને અને ભારત વિરુદ્ધ કરે છે. આ સિવાય કેનેડિયન કમિશને પોતાના રિપોર્ટમાં એ પણ જણાવ્યું કે પાકિસ્તાન પોતાના ઈરાદાઓને પૂરા કરવા માટે કેનેડાના દરેક સ્તરના સરકારી વિભાગોનો પણ ઉપયોગ કરે છે.
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર
ભારત વિરોધી ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ કેનેડામાં ખૂબ જ સક્રિય છે અને ઘણી વખત આ આતંકવાદી સંગઠન પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું બહાર આવ્યું છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં 2023માં હત્યા કરવામાં આવી હતી. તેણે પાકિસ્તાનમાં આતંકવાદ અને હથિયારોની ટ્રેનિંગ પણ લીધી હતી, જેની તસવીરો અને વીડિયો પણ થોડા સમય માટે સાર્વજનિક થઈ ગયા હતા.
પાકિસ્તાન ચૂંટણી પર પણ અસર
કેનેડા સરકારને સુપરત કરાયેલા રિપોર્ટના વોલ્યુમ 4માં કેનેડાના ફોરેન ઇન્ટરફીયરન્સ કમિશને પાકિસ્તાન પર છેલ્લી ચૂંટણીમાં ઘૂસણખોરી કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે કેનેડાની છેલ્લી ચૂંટણીઓમાં પાકિસ્તાનની સરકારે પોતાની પસંદગીના ઉમેદવારને જીતાડવા માટે કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો હતો. માહિતી મળતાની સાથે જ કેનેડાના ગુપ્તચર વિભાગે કેનેડાના ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનરની ઓફિસને કેનેડા ચૂંટણી કાયદાના ઉલ્લંઘનની ફરિયાદ કરી હતી અને પુરાવા આપ્યા હતા.





