થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેના સરહદી વિવાદે ગુરુવારે ખતરનાક વળાંક લીધો અને બંને દેશોના સૈનિકોએ એકબીજા પર ગોળીબાર કર્યો. કંબોડિયાએ કહ્યું છે કે, બંને દેશો વચ્ચેની તાજેતરની સરહદી અથડામણમાં ગોળીબાર થયો હતો. બંને દેશો હવે એકબીજા પર પહેલા ગોળીબાર કરવાનો આરોપ લગાવી રહ્યા છે.
ખમેર મંદિર તા મુએન થોમ નજીક ગોળીબાર
થાઈ સૈન્યએ જણાવ્યું હતું કે કંબોડિયન સૈનિકોએ ખમેર મંદિર તા મુએન થોમ નજીક ગોળીબાર કર્યો હતો. તાજેતરના અઠવાડિયામાં આ વિસ્તારમાં બંને દેશોના સૈનિકો વચ્ચે તણાવ વધી ગયો છે. જોકે, કંબોડિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે થાઈ સૈનિકોએ પહેલા ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ તેના સૈનિકોએ સ્વ-બચાવમાં જવાબી કાર્યવાહી કરી હતી.
થાઈ સૈન્યએ શું કહ્યુ?
થાઈ સૈન્યએ જણાવ્યું હતું કે, કંબોડિયાએ ભારે સશસ્ત્ર સૈનિકો તૈનાત કરતા પહેલા આ વિસ્તારમાં એક સર્વેલન્સ ડ્રોન મોકલ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગોળીબારમાં ઓછામાં ઓછા બે થાઈ સૈનિકો ઘાયલ થયા હતા. કંબોડિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા માલી સોચેતાએ જણાવ્યું હતું કે, "આપણા સૈનિકોએ થાઈ સૈનિકોના આક્રમણ સામે પોતાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરવાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો. થાઈલેન્ડે કંબોડિયાની પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન કર્યું છે."





















