Pahalgam Terror Attack Updates: જમ્મુ-કશ્મીરના પહેલગામમાં આતંકીઓએ પર્યટકો પર હુમલો કરીને 3 ગુજરાતીઓ સહિત કુલ 28 પ્રવાસીઓ પર ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતાર્યા. આતંકીઓએ પ્રવાસીઓના કપડાં કઢાવીને નામ અને ધર્મ પૂછ્યા બાદ કાયરતા પૂર્વક તેની હત્યા કરી. સમગ્ર ઘટનાને પગલે હાલ ઘાટીમાં સુરક્ષા એજન્સીઓ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. હુમલાની ઘટનાના બદ સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યાં છે. હાલ આતંકીઓના આ સ્કેચ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યાં છે. નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારનાર આતંકીઓની ઓળખ કરવા કવાયત હાથ ધરાઈ ગઈ છે. આ કાયરતા ભર્યા કૃત્યનો જડબાતોડ જવાબ આપવાની તૈયારીઓ ભારત સરકારે કરી લીધી છે.
પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. જેને પગલે પાકિસ્તાને ડરના માર્યા સરહદ નજીકના એરબેઝ પર સુરક્ષા માટે તૈનાતી વધારી દીધી હોવાની ખબરો પણ સામે આવી છે. એટલું જ નહીં ઘટના બાદ સરકાર એકદમથી એકશન મોડમાં આવી ગઈ છે. એક તરફ પીએમ મોદી પોતાનો વિદેશ પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફરી એરપોર્ટ પર સુરક્ષા સંદર્ભે તાત્કાલિક બેઠક યોજી. બીજી તરફ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે પહેલગામમાં જ્યાં આતંકીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો તે ઘટના સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. આ સાથે જ અમિત શાહે આતંકી હુમલામાં મૃત્યુ પામેલાં લોકોના સ્વજનોને મળીને ન્યાય આપવાની ખાતરી આપી હતી.
ઉલ્લેખનીય છેકે, રજાની મજા માણવા પ્રવાસીઓ જમ્મુ-કશ્મીરના પહેલગામમાં આવેલી બૈસરન ઘાટીમાં ફરી રહ્યાં હતાં. ઠીક એજ સમયે અચાનક હાથમાં AK-47 રાઈફલો લઈને ત્યાં આતંકીઓ ઉતરી પડ્યાં. ત્યાર બાદ આ આતંકીઓએ પ્રવાસીઓના નામ પૂછ્યા, પર્યટકોનો ધર્મ પૂછ્યો એટલું જ નહીં આતંકીઓએ પ્રવાસીઓના કપડાં કઢાવીને તેમને નગ્ન કર્યા અને ત્યાર બાદ તેમનો ધર્મ જાણીને પછી તેમના પર ગોળીબાર કરીને તેમની હત્યા કરી દીધી.
આતંકીઓ સેના જેવા યુનિફોર્મમાં આવ્યા હતા અને ગોળીબાર કર્યો. પ્રત્યક્ષદર્શીના દાવા અનુસાર લોકોનો ધર્મ પુછવામાં આવ્યો, તેમને કલમા પઢવાનું કહેવામાં આવ્યું અને આવું કરવામાં નિષ્ફળતા બદલ તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. જે પ્રવાસીઓ ખૂબસૂરત નજારો જોવા આવ્યા હતા તેમને મોતનો મંજર જોવો પડ્યો અને તેમના પરિવારજનોને ગુમાવવા પડ્યા. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન TRFએ લીધી છે. ઇન્ટેલિજન્સે કહ્યું છે કે લશ્કરનો સૈફુલ્લાહ માસ્ટરમાઇન્ડ છે. આખા દેશ અને દુનિયાભરમાં આ આતંકી હુમલાની ટીકા થઈ રહી છે.
સૂત્રોએ જણાવ્યું કે પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ સૈફુલ્લા ખાલિદ છે. તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માંથી આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવે છે. તેનું સ્થાન રાવલકોટ હોવાનું કહેવાય છે. સૈફુલ્લાહે એક મહિના પહેલા હુમલાની ચેતવણી પણ આપી હતી. આનો 2019નો એક વીડિયો પણ વાયરલ થયો હતો. આ વીડિયોમાં સૈફુલ્લાએ કહ્યું હતું કે કાશ્મીર મુદ્દાને ઠંડો પડવા દેવો જોઈએ નહીં.
આતંકીઓનો પહેલો સ્કેચ જાહેર કરાયા-
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 28 પ્રવાસીઓની હત્યા કરનારા આતંકવાદીઓનો પહેલો સ્કેચ સામે આવ્યો છે. સુરક્ષા એજન્સીઓએ આતંકીઓના સ્કેચ જાહેર કર્યા છે. આ આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓને પસંદ કરીને માર્યા બાદ આ આતંકીઓ નજીકના પહાડી જંગલોમાં છુપાઈ ગયા છે. તેમને પકડવા માટે સુરક્ષા દળો દ્વારા સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓ પાસે AK-47 રાઈફલ્સ હતી, જેનાથી તેમણે ફાયરિંગ કર્યું. તેમજ બે આતંકીઓ પશ્તો ભાષામાં વાત કરી રહ્યા હતા. આ આતંકવાદીઓ કયા માર્ગથી પહેલગામ પહોંચ્યા તે પણ ખુલાસો થયો છે. સુરક્ષા દળો સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ આતંકવાદીઓ લગભગ 2 અઠવાડિયા પહેલા ભારતીય સરહદમાં ઘૂસ્યા હતા. ત્યારબાદ તે રાજૌરી અને વાધવન થઈને પહેલગામ પહોંચ્યા.
સ્થાનિક લોકોને શંકાસ્પદ લોકોની ઓળખ કરવામાં મદદ કરવા માટે આ વિસ્તારમાં આતંકવાદીઓના સ્કેચ વ્યાપકપણે જાહેર કરવામાં આવી રહ્યા છે. તપાસ એજન્સીઓ હવે આ શકમંદોના છુપાયેલા સ્થળો અને સંપર્કોની તપાસમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાની વિંગ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે કે TRF દ્વારા લેવામાં આવી છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલગામ હુમલામાં બે વિદેશી અને બે સ્થાનિક આતંકવાદીઓ સામેલ હતા.






