રાજ્યમાં આજથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની શરૂઆત થઈ છે. વિદ્યાર્થીઓ માટે આ મહત્વપૂર્ણ ક્ષણ હોય છે, તેથી સમગ્ર રાજ્યમાં ઉત્સાહ અને શુભેચ્છાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ધોરણ 10 અને 12ના મળીને કુલ આશરે 15.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા રાજ્યભરમાં કુલ 1701 કેન્દ્રો પર યોજાઈ રહી છે, જેમાં ધોરણ 10 માટે 1006 કેન્દ્રો અને ધોરણ 12 માટે 695 કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે.
આજથી ધો. 10 અને 12ની બોર્ડ પરીક્ષા
રાજ્યમાં SSC માટે કુલ 87 ઝોન અને HSC માટે 59 ઝોન બનાવવામાં આવ્યા છે, જેથી પરીક્ષા પ્રક્રિયા સુચારુ રીતે પાર પડી શકે. સુરતમાં વિદ્યાર્થીઓનું બેન્ડબાજા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, જેનાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધ્યો હતો. રાજકોટમાં પણ વિદ્યાર્થીઓને “દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે” ગીત સાથે આવકારવામાં આવ્યા હતા, જેના કારણે પરીક્ષા પહેલા સકારાત્મક વાતાવરણ સર્જાયું હતું.
દિવ્યાંગ વિધાર્થીઓને એક કલાકનો વધુ સમય
પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે કડક નિયમો અમલમાં મુકાયા છે. જો કોઈ વિદ્યાર્થી નકલ કે અન્ય ગેરરીતિ કરતા ઝડપાશે તો તેને 1થી 3 વર્ષ સુધી પરીક્ષા આપવા પર પ્રતિબંધ જેવી સજા થઈ શકે છે. તેથી વિદ્યાર્થીઓને નિયમોનું પાલન કરવાની ખાસ સૂચના આપવામાં આવી છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને ખાસ સુવિધા રૂપે એક કલાકનો વધારાનો સમય આપવામાં આવ્યો છે, જેથી તેઓ શાંતિથી અને યોગ્ય રીતે પરીક્ષા આપી શકે. આ રીતે રાજ્યભરમાં બોર્ડ પરીક્ષાની શરૂઆત શિસ્તબદ્ધ આયોજન અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે થઈ છે.




















