આજે 31 મે 2026ના રોજ આકાશમાં એક ખાસ ખગોળીય ઘટના જોવા મળશે, જેને વિશ્વભરમાં ‘બ્લૂ મૂન’ તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટના અંગે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર પણ બ્લૂ મૂનને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, ઘણા લોકોના મનમાં એક સામાન્ય પ્રશ્ન છે કે શું આજે ચંદ્ર ખરેખર વાદળી રંગનો દેખાશે? ખગોળશાસ્ત્રીઓનું કહેવું છે કે હકીકત તેની કરતાં અલગ છે.
બ્લૂ મૂન એ ચંદ્રના રંગ સાથે સંબંધિત ઘટના નથી, પરંતુ કેલેન્ડર અને ચંદ્રચક્ર સાથે જોડાયેલી એક દુર્લભ ખગોળીય ઘટના છે. જ્યારે એક જ કેલેન્ડર મહિનામાં બે પૂર્ણિમા આવે ત્યારે બીજી પૂર્ણિમાને બ્લૂ મૂન કહેવામાં આવે છે. મે 2026માં 1 મે અને 31 મેના રોજ પૂર્ણિમા આવી હોવાથી આજે દેખાતો પૂર્ણ ચંદ્ર બ્લૂ મૂન તરીકે ઓળખાશે.
બ્લૂ મૂન શું છે અને તે કેટલું દુર્લભ છે?
ખગોળવિજ્ઞાન મુજબ ચંદ્રનો એક પૂર્ણ ચક્ર લગભગ 29.5 દિવસનો હોય છે. આ કારણસર કેટલીકવાર એક જ મહિનામાં બે પૂર્ણિમા આવવાની સ્થિતિ સર્જાય છે. આવી ઘટનાને બ્લૂ મૂન નામ આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે બ્લૂ મૂન દર બે કે ત્રણ વર્ષમાં એક વખત જોવા મળે છે, તેથી તેને દુર્લભ ખગોળીય ઘટના માનવામાં આવે છે.
આ વખતે બ્લૂ મૂન સાથે એક બીજી વિશેષતા પણ જોડાયેલી છે. આ પૂર્ણિમાને ‘માઇક્રો મૂન’ તરીકે પણ ઓળખવામાં આવી રહી છે. તેનું કારણ એ છે કે આ સમયે ચંદ્ર તેની કક્ષામાં પૃથ્વીથી તુલનાત્મક રીતે વધુ દૂર હશે. પરિણામે ચંદ્રનો દેખાતો આકાર સામાન્ય પૂર્ણિમાની સરખામણીમાં થોડો નાનો લાગી શકે છે.
આ પણ વાંચો: રેતીના તોફાનની ચેતવણી : 20 રાજ્યો માટે 48 કલાકનું એલર્ટ, જાણો આગામી 5 દિવસમાં હવામાન કેવું રહેશે?
ચંદ્ર વાદળી નહીં પરંતુ નારંગી કે લાલાશવાળો કેમ દેખાઈ શકે?
બ્લૂ મૂન નામ સાંભળીને ઘણા લોકો માને છે કે આજે ચંદ્ર વાદળી રંગનો દેખાશે. પરંતુ વૈજ્ઞાનિક રીતે એવું બનતું નથી. હકીકતમાં ચંદ્ર ઉગતી વખતે નારંગી, પીળો અથવા લાલાશવાળો દેખાઈ શકે છે. તે પાછળનું મુખ્ય કારણ પૃથ્વીનું વાયુમંડળ છે. જ્યારે ચંદ્ર ક્ષિતિજની નજીક હોય છે ત્યારે તેની રોશનીને પૃથ્વીના વાયુમંડળની વધુ જાડાઈમાંથી પસાર થવું પડે છે. આ પ્રક્રિયા દરમિયાન વાદળી અને જાંબલી રંગની નાની તરંગલંબાઈ ધરાવતી કિરણો વધુ પ્રમાણમાં વિખેરાઈ જાય છે, જ્યારે લાલ અને નારંગી રંગની લાંબી તરંગલંબાઈ ધરાવતી કિરણો આપણા સુધી પહોંચી શકે છે. પરિણામે ચંદ્ર લાલાશ કે નારંગી રંગનો દેખાય છે. આ ઘટના સૂર્યાસ્ત સમયે આકાશ લાલ કે કેસરિયો દેખાય છે તે જ સિદ્ધાંત પર આધારિત છે.
ચંદ્ર મોટો દેખાશે
ઘણા લોકો આજે ચંદ્રને અસામાન્ય રીતે મોટો અનુભવશે. પરંતુ તે કોઈ ખગોળીય પરિવર્તનને કારણે નહીં, પરંતુ માનવ મગજની દૃષ્ટિભ્રમ (Optical Illusion)ને કારણે થાય છે.
જ્યારે ચંદ્ર ક્ષિતિજ નજીક વૃક્ષો, ઇમારતો, પહાડો અથવા અન્ય વસ્તુઓની પાછળ દેખાય છે ત્યારે આપણા મગજને તે વધુ મોટો લાગે છે. વાસ્તવમાં તેના કદમાં કોઈ ભૌતિક વધારો થતો નથી. આ ઘટનાને ‘મૂન ઇલ્યુઝન’ તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો: કોણ છે અનિમેષ કુજુર અને ગુરિન્દરવીર સિંહ? : PM મોદીએ મન કી બાતમાં કર્યા વખાણ, જાણો શું કહ્યું
ભારતમાં બ્લૂ મૂન ક્યારે અને કેવી રીતે જોઈ શકાશે?
ભારતમાં આ અનોખી ખગોળીય ઘટના જોવા માટે ખાસ સાધનોની જરૂર નથી. ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર આજે સાંજે સૂર્યાસ્ત પછી લગભગ 6:30 વાગ્યાથી 7:30 વાગ્યાની વચ્ચે ચંદ્રદર્શન માટે શ્રેષ્ઠ સમય રહેશે.
ખુલ્લા આકાશવાળા વિસ્તારો, ઘરની છત, ખુલ્લા મેદાન અથવા શહેરના પ્રકાશ પ્રદૂષણથી દૂર સ્થળ પરથી ચંદ્રને સરળતાથી જોઈ શકાશે. જો હવામાન સ્વચ્છ રહેશે તો સામાન્ય આંખે પણ આ દૃશ્યનો આનંદ લઈ શકાય છે. ટેલિસ્કોપ અથવા બાયનોક્યુલરનો ઉપયોગ કરવાથી ચંદ્રની સપાટી વધુ સ્પષ્ટ રીતે નિહાળી શકાશે.
જ્યોતિષ અને આધ્યાત્મિક દૃષ્ટિએ પૂર્ણિમાનું મહત્ત્વ
ભારતીય પરંપરા અને જ્યોતિષશાસ્ત્રમાં પૂર્ણિમાનું વિશેષ સ્થાન માનવામાં આવે છે. લોકમાન્યતાઓ અનુસાર પૂર્ણિમાનો દિવસ સકારાત્મક ઊર્જા, આધ્યાત્મિક સાધના અને માનસિક શાંતિ માટે અનુકૂળ ગણાય છે.
જ્યોતિષીય માન્યતા મુજબ આ દિવસે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. ‘ૐ સોમાય નમઃ’ મંત્રનો જાપ, ધ્યાન-સાધના, દાન અને પૂજા-પાઠ કરવાથી મનની શાંતિ અને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. ઘણા ભક્તો આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરીને ખીરનો ભોગ પણ ધરાવે છે.
ખગોળીય દૃષ્ટિએ જોવામાં આવે તો આજનો બ્લૂ મૂન એક રસપ્રદ અને દુર્લભ ઘટના છે, જ્યારે સાંસ્કૃતિક અને ધાર્મિક દૃષ્ટિએ પૂર્ણિમા વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ કારણે આજે સાંજનું ચંદ્રદર્શન માત્ર ખગોળપ્રેમીઓ માટે જ નહીં, પરંતુ સામાન્ય લોકો માટે પણ યાદગાર બની શકે છે.





