Home National Bloody Love Story Nashik Ex Live In Partner Murder Life Ended

લિવ-ઇન સંબંધ તૂટ્યા બાદ ભયાનક અંજામ : લગ્ન કરવાની ના પાડતા યુવકે પાર્કમાં જઈને 'ચકુડી'ના રમાડી દીધા 'રામ'!

love story
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: Jul 18, 2026, 12:23 PM IST

Bloody love story : મહારાષ્ટ્રના નાસિક શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં શુક્રવારે રાત્રે પૂર્વ લિવ-ઇન પાર્ટનરે 21 વર્ષની યુવતીની છરીના ઘા મારી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. ઘટનાના થોડા કલાકો બાદ આરોપી 26 વર્ષીય યુવકનો મૃતદેહ નજીકના જોગિંગ ટ્રેક પાસે ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસે આ ઘટનાને હત્યા બાદ જીવન ટૂંકાવવાના એંગલથી તપાસવાનું શરૂ કર્યું છે, જોકે તમામ સંજોગોની વિગતવાર તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે. મૃતક યુવતીની ઓળખ વૈષ્ણવી અવારે તરીકે થઈ છે, જ્યારે આરોપી સાહિલ લવારે હોવાનું સામે આવ્યું છે. બંને મૂળ અમરાવતી જિલ્લાના રહેવાસી હતા અને અગાઉ લાંબા સમય સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા હતા. સંબંધોમાં મતભેદ વધતા વૈષ્ણવીએ થોડા સમય પહેલા આ સંબંધનો અંત લાવી નાસિકમાં રહેવાનું શરૂ કર્યું હતું.

સંબંધ તૂટ્યા બાદ નાસિકમાં નવી શરૂઆત

પોલીસના જણાવ્યા મુજબ, વૈષ્ણવી નાસિકના ઇન્દિરાનગર વિસ્તારમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી અને નોકરીની શોધમાં હતી. આ દરમિયાન તેની ઓળખ જલગાંવના મૂળ રહેવાસી અને નાસિકમાં નોકરી કરતા એક યુવક સાથે થઈ હતી. બંને વચ્ચે નજીકતા વધતા તેમના લગ્ન નક્કી થયા હતા અને સગાઈ પણ થઈ ગઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે વૈષ્ણવીએ પોતાના મંગેતરને અગાઉથી જણાવ્યું હતું કે પૂર્વ લિવ-ઇન પાર્ટનર સાહિલ તેને સતત ફોન કરીને હેરાન કરી રહ્યો છે. ઘટનાના દિવસે પણ સાહિલ તેને મળવા આવવાનો હોવાનું તેણે મંગેતરને જણાવ્યું હતું.

આ પણ ખાસ વાંચો : સોનમ વાંગચુકના ઉપવાસને અમેરિકામાં પણ મળ્યો ટેકો : વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસ બહાર વિરોધ પ્રદર્શન

પાર્કમાં મુલાકાત બાદ જીવલેણ હુમલો

શુક્રવારે રાત્રે ઇન્દિરાનગરની વનસંપદા સોસાયટી નજીક આવેલા નાના પાર્કમાં વૈષ્ણવી પોતાની એક મહિલા મિત્ર સાથે બેઠી હતી. તે દરમિયાન સાહિલ ત્યાં પહોંચ્યો અને વૈષ્ણવી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પ્રત્યક્ષદર્શીઓ અને પોલીસના જણાવ્યા મુજબ, વિવાદ વધતા સાહિલે પોતાની પાસે રહેલી છરી કાઢી વૈષ્ણવી પર હુમલો કર્યો. યુવતીએ મદદ માટે બૂમો પાડતા આરોપીએ તેના ગળા પર ઘા ઝીંક્યા અને ઘટના સ્થળેથી મોટરસાઇકલ પર ફરાર થઈ ગયો. સ્થાનિક લોકોએ તરત જ એમ્બ્યુલન્સ બોલાવી વૈષ્ણવીને નાસિક સિવિલ હોસ્પિટલ પહોંચાડી, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી.

કલાકોમાં આરોપીનો પણ મળ્યો મૃતદેહ

ઘટનાની જાણ થતાં જ ઇન્દિરાનગર પોલીસ, સહાયક પોલીસ કમિશનર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આરોપીની શોધ માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શનિવારે વહેલી સવારે હત્યાના સ્થળથી અંદાજે બે કિલોમીટર દૂર આવેલા ઇન્દિરાનગર જોગિંગ ટ્રેક પાસે એક ઝાડ પર સાહિલ લવારેનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેણે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે.

આ પણ ખાસ વાંચો : 'મોબાઈલ કે પર્સ નહીં, સીધી તોપ...' : આ ઐતિહાસિક કિલ્લામાંથી રાતોરાત 1 ટનની 400 વર્ષ જૂની તોપ ચોરાઈ

પોલીસ તપાસમાં શું સામે આવ્યું?

પોલીસે મૃતક યુવતીના મંગેતરની ફરિયાદના આધારે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સંબંધ તૂટ્યા બાદ પણ સાહિલ સતત વૈષ્ણવીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતો હતો. જોકે હત્યાનું ચોક્કસ કારણ શું હતું, અગાઉ કોઈ ધમકી આપવામાં આવી હતી કે નહીં અને સમગ્ર ઘટનાક્રમમાં અન્ય કોઈ પાસું સંકળાયેલું છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલ ઉપલબ્ધ પુરાવા, સાક્ષીઓના નિવેદનો, મોબાઇલ ફોનની વિગતો અને ફોરેન્સિક તપાસના આધારે સમગ્ર કેસની કડીઓ જોડવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાના તમામ કારણો અંગે સત્તાવાર રીતે સ્પષ્ટતા થઈ શકશે. આ ઘટનાએ ફરી એક વખત સંબંધોમાં વધતા વિવાદ, સતત હેરાનગતિ અને અસ્વીકારને હિંસક સ્વરૂપ આપવાના ગંભીર પ્રશ્નો સામે લાવ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે આવી પરિસ્થિતિમાં સમયસર પોલીસમાં ફરિયાદ, કાનૂની રક્ષણ અને પરિવાર તેમજ મિત્રોની મદદ મેળવવી અત્યંત જરૂરી બની જાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now