ગાંધીનગર ટાઉન હોલ ખાતે આજે ભાજપ દ્વારા મતદાન સુધારણા અભિયાન (SIR) અંતર્ગત એક વિશાળ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનું અધ્યક્ષસ્થાન સંગઠન મહામંત્રી રત્નાકરએ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
આ કાર્યશાળામાં ભાજપના ધારાસભ્યો અને સાંસદોને ફરજીયાત ઉપસ્થિત રહેવા માટેનું ફરમાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો હેતુ મતદાર યાદીને વધુ સચોટ, પારદર્શક અને સુધારણા બનાવવા માટે કાર્યકરોને માર્ગદર્શન આપવાનો હતો. કાર્યશાળામાં વિવિધ વિષયો પર વિગતવાર ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
માહિતી સુધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
આ કાર્યશાળામાં ખાસ કરીને નવા મતદારોનાં નામ ઉમેરવા, પહેલાં છૂટી ગયેલા મતદારોનાં નામ ઉમેરવા, અયોગ્ય મતદારોનાં નામ દૂર કરવા, મૃત્યુ પામેલા અને સ્થળાંતરિત મતદારોનાં નામ દૂર કરવા, તેમજ મતદાર યાદીમાં ખોટી કે અધૂરી માહિતી સુધારવા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાંસદ હેમાંગ જોશીએ કાર્યશાળા અંગે શું કહ્યું?
આ અભિયાન અંગે પ્રદેશ ભાજપ સંયોજક અને સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું કે, આ મતદાર સુધારણા અભિયાન છેલ્લા બે દશક બાદ હાથ ધરવામાં આવ્યું છે. તેનો મુખ્ય હેતુ એ છે કે કોઈ મતદાર છૂટી ન જાય અને દરેક પાત્ર નાગરિકનું નામ મતદાર યાદીમાં સામેલ હોય. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ અભિયાનને એક “પોઝિટિવ ડ્રાઈવ” બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી મતદાર યાદીમાં સુધારણા માટે એક સુસંગત અને મજબૂત માળખું ઉભું થાય.
મતદાન સુધારણા અભિયાન
કાર્યશાળામાં ઉપસ્થિત નેતાઓએ જણાવ્યું કે મતદાન સુધારણા અભિયાન દ્વારા નાગરિક જાગૃતિ વધારવા અને લોકશાહી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા ભાજપ સતત પ્રયત્નશીલ છે. આ બેઠક મતદાન સુધારણાને લઈને એક સઘન અને દિશાદર્શક પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.





















