કેરળ હાલ ભારતનું એક જ એવું રાજ્ય છે, જ્યાં લેફ્ટ સત્તામાં છે. અહીં દર પાંચ વર્ષે સત્તા બદલાઇ જતી હતી, પરંતુ 2021માં ડાબેરી મોરચા (LDF) એ આ ટ્રેન્ડ તોડીને સતત બીજી વખત સરકાર બનાવી. કોંગ્રેસ ગઠબંધનનો પ્રયાસ આ વખતે એન્ટી-ઈન્કમ્બન્સીનો લાભ લઇ વધારેને વધારે બેઠક જીતવાનો છે.
બીજી તરફ BJP અત્યાર સુધી કેરળમાં એક પણ વિધાનસભા બેઠક જીતી શકી નથી. છેલ્લી લોકસભા ચૂંટણીમાં અહીં તેણે ત્રિશૂર લોકસભા બેઠક જીતી હતી. આ ઉપરાંત ડિસેમ્બર 2025માં પણ BJPએ પહેલીવાર ત્રિવેન્દ્રમ (તિરુવનંતપુરમ) મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતી.
કેરળમાં કૂલ 140 વિધાનસભા સીટો છે.. જેમાંથી ગત ઇલેક્શનમાં એટલે કે 2021ની કેરળ વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો LDFને મળી હતી.. LDFએ 99 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસ અને સાથી પક્ષોએ 41 બેઠકો જીતી હતી, જ્યારે અન્ય કોઇપણ પક્ષને એકપણ બેઠક મળી ન હતી.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે દેશભરમાં લગભગ 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સરકાર બનાવનાર ભાજપ છેલ્લા 75 વર્ષોમાં કેરળમાં અસરકારક હાજરી કેમ સ્થાપિત કરી શક્યો નથી. કેરળની વસ્તી ગણતરી કરીએ તો, રાજ્યની વસ્તીમાં હિન્દુઓ આશરે 54 ટકા છે, ત્યારબાદ મુસ્લિમો છે. વસ્તીમાં મુસ્લિમો 26.6 ટકા અને ખ્રિસ્તીઓ 18.4 ટકા છે. કેરળ દેશના સૌથી વિકસિત રાજ્યોમાંનું એક છે, જ્યાં સાક્ષરતા દર 96 ટકાથી વધુ છે. હવે પ્રશ્ન એ છે કે, હિન્દુ બહુમતી ધરાવતું રાજ્ય હોવા છતાં, ભાજપે કેરળમાં ક્યારેય મોટી જીત કેમ મેળવી નથી.
જમાત-એ-ઇસ્લામી હિંદ કેરળએ રાજ્ય વિધાનસભા ચૂંટણીઓ અંગે એક મોટી જાહેરાત કરી છે. જમાત કહે છે કે તેનો ધ્યેય ભારતીય જનતા પાર્ટીને સત્તાથી દૂર રાખવાનો છે. આ માટે, તે ભાજપને હરાવનારા ઉમેદવારોને ટેકો આપશે. જમાતના નેતા મુજીબ રહેમાને જણાવ્યું હતું કે તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેણે આ જ વલણ અપનાવ્યું હતું. સંગઠનનો પ્રાથમિક એજન્ડા કેરળમાં ભાજપને સત્તાથી દૂર રાખવાનો છે.





















