બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મહાગઠબંધન દ્વારા તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યા બાદ હવે ચૂંટણી અભિયાનમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. એક તરફ આરજેડી અને કોંગ્રેસ આ મુદ્દો ઉઠાવી રહ્યા છે કે એનડીએની જીત પછી ભાજપ નીતિશ કુમારને મુખ્યમંત્રી નહીં બનાવે, તો બીજી તરફ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે એનડીએના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
અમિત શાહનો દાવો – "એનડીએ 160થી વધુ બેઠકો જીતશે"
મીડિયા સાથેની એક મુલાકાતમાં અમિત શાહે કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ 160થી વધુ બેઠકો જીતશે. મુખ્યમંત્રી પદ વિશે પૂછવામાં આવ્યા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "બિહારમાં મુખ્યમંત્રી અને દેશમાં વડાપ્રધાનના પદ ખાલી નથી. અમે જાહેર પ્લેટફોર્મ પરથી અનેક વખત કહી ચૂક્યા છીએ કે કોઈ ખાલી જગ્યા નથી."
સહરસાની એક રેલીમાં તેમણે લાલુ પરિવાર પર પણ કટાક્ષ કર્યો. અમિત શાહે કહ્યું, “લાલુ અને રાબડી ઇચ્છે છે કે તેમનો દીકરો મુખ્યમંત્રી બને, અને સોનિયા ગાંધી ઇચ્છે છે કે તેમનો દીકરો પ્રધાનમંત્રી બને. હું સ્પષ્ટ કહી દઉં છું કે લાલુનો દીકરો મુખ્યમંત્રી નહીં બને અને સોનિયા ગાંધીનો દીકરો પ્રધાનમંત્રી નહીં બને. બિહારમાં નીતિશ કુમાર મુખ્યમંત્રી છે અને દિલ્હીમાં મોદી પ્રધાનમંત્રી છે.”
કોંગ્રેસનો આક્રમક પ્રહાર
આ દરમિયાન, મંગળવારે (4 નવેમ્બર, 2025) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બિહારમાં યોજાયેલી ચૂંટણી રેલીમાં ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું, “ભાજપે નીતિશ કુમાર પર કબજો કરી લીધો છે. બિહારના મુખ્યમંત્રી હવે ભાજપના નિયંત્રણમાં છે.”
રાહુલ ગાંધીએ તુલના કરતા કહ્યું, “જેમ ટેલિવિઝન ચેનલો રિમોટથી બદલવામાં આવે છે, તેવી જ રીતે નરેન્દ્ર મોદી અને અમિત શાહ નીતિશ કુમારની ‘ચેનલ’ બદલી દે છે. હવે બિહારમાં નીતિશ કુમારની પોતાની સરકાર ક્યારેય નહીં બને.”
બિહારમાં હવે પ્રથમ તબક્કાના મતદાન પહેલા એનડીએ અને મહાગઠબંધન બંનેના ટોચના નેતાઓ વચ્ચે આક્ષેપ-પ્રત્યાઆક્ષેપની રાજનીતિ ઉગ્ર બની રહી છે.






