ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં ભાગદોડની ઘટનામાં RCBની મુશ્કેલીઓ વધી રહી છે. ઘટના ની તપાસ કરી રહેલ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT) એ મંગળવારે જણાવ્યું હતું કે, 4 જૂને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની જીતની ઉજવણી કરવા માટે બેંગ્લોરમાં એકત્ર થયેલી વિશાળ ભીડ માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) જવાબદાર છે. આ અકસ્માતમાં 11 લોકો માર્યા ગયા હતા અને અનેક લોકો ઘાયલ પણ થયા હતા. ટ્રિબ્યુનલે
પોતાના આદેશમાં કહ્યું કે RCB એ પોલીસ પાસેથી કોઈ પૂર્વ મંજૂરી લીધી ન હતી કે પોલીસને જાણ કરી ન હતી. ટીમે અચાનક સોશિયલ મીડિયા પર ઉજવણીનું આમંત્રણ શેર કર્યું , જેના કારણે લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે પોલીસ પાસે ફક્ત 12 કલાકનો સમય હતો,જે આટલી મોટી ઘટના માટે પૂરતો સમય ગણી શકાય નહીં.
CAT એ પોલીસનો બચાવ કર્યો
CAT એ ઘટના બદલ પોલીસની ટીકાને અન્યાયી ગણાવી અને કહ્યું, "પોલીસકર્મીઓ પણ માણસો છે.તેઓ ન તો ભગવાન છે, ન તો જાદુગર, ન તો તેમની પાસે અલાઉદ્દીનનો દીવો છે જેનાથી કોઈપણ કામ તાત્કાલિક પૂર્ણ કરી શકાય." ટ્રિબ્યુનલે સ્વીકાર્યું કે અચાનક મળેલી માહિતીને કારણે, પોલીસ પાસે વ્યવસ્થા ગોઠવવા પૂરતો સમય નહોતો, તેથી તેમને દોષી ઠેરવી શકાય નહીં.





















