BCCI calls emergency meeting: ભારતીય ટીમે રવિવારે (30 નવેમ્બર) સાઉથ આફ્રિકા સામે રાંચી વનડેમાં 17 રનથી જીત મેળવી હતી. બંને ટીમો હવે 3 ડિસેમ્બરે રાયપુરમાં વનડે સીરિઝની બીજી મેચ રમશે. રાયપુર વનડે પહેલા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બુધવારે રાયપુરમાં BCCI અધિકારીઓ અને મેન્સ ટીમ મેનેજમેન્ટ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠકનો હેતુ તમામ ફોર્મેટમાં ટીમ માટે રોડમેપ તૈયાર કરવાનો અને ટીમ પસંદગી અને કોમ્યુનિકેશન સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો છે.
મીટિંગમાં કોણ કોણ હાજરી આપશે?
એક રિપોર્ટ અનુસાર, BCCI સચિવ દેવજીત સૈકિયા, સંયુક્ત સચિવ પ્રભતેજ સિંહ ભાટિયા, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત અગરકર બેઠકમાં હાજરી આપશે. BCCI પ્રમુખ મિથુન મનહાસ હાજર રહેશે કે નહીં તે સ્પષ્ટ નથી. આ બેઠક બીજી વનડેના દિવસે જ બોલાવવામાં આવી હોવાથી, સિનિયર ખેલાડીઓ હાજરી આપશે નહીં. ટીમમાં વધતા પ્રશ્નો, ખરાબ ટેસ્ટ પ્રદર્શન અને ટીમ મેનેજમેન્ટના સિનિયર ખેલાડીઓ (વિરાટ કોહલી અને રોહિત શર્મા) સાથેના સંબંધો અંગે ચિંતાઓ વચ્ચે આ બેઠક મહત્વપૂર્ણ બની રહી છે.
આ મીટિંગનો હેતુ શું છે?
BCCI ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ બેઠકનો હેતુ ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારોને એકસાથે લાવવાનો હતો જેથી પસંદગીમાં સુસંગતતા સુનિશ્ચિત થાય અને ખેલાડીઓના વિકાસ માટે સ્પષ્ટ માર્ગો મળે. અધિકારીએ સ્વીકાર્યું કે, બોર્ડ હાલના ટેસ્ટ મેચો દરમિયાન મેદાન પર અને બહાર ગૂંચવણભરી વ્યૂહરચનાઓથી ચિંતિત હતું. તેમણે કહ્યું, "ઘરઆંગણેની ટેસ્ટ સીઝન દરમિયાન ઘણી વખત એવી ઘટનાઓ બની હતી જ્યાં વ્યૂહરચના અસ્પષ્ટ હતી. આગામી ટેસ્ટ સીરિઝ માટે હજુ પણ સમય છે, તેથી અમે સ્પષ્ટતા અને આયોજન ઇચ્છીએ છીએ."
સિનિયર ખેલાડીઓ વચ્ચેનો મતભેદ દૂર થશે!
BCCI નું એવું પણ માનવું છે કે, વર્તમાન ટીમ મેનેજમેન્ટ અને સિનિયર ખેલાડીઓ વચ્ચે કોમ્યુનિકેશનને લઈને ખૂબ જ સમસ્યાઓ વધી રહી છે. ભારત આવતા વર્ષે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે T20 વર્લ્ડ કપમાં પ્રવેશ કરશે, ત્યારપછી 2027 માં ODI વર્લ્ડ કપ રમાશે. તેથી, BCCI ઇચ્છે છે કે, ટીમની અંદરના તમામ મુદ્દાઓ તાત્કાલિક ઉકેલાય.
ક્યાં ક્યાં વિષય પર ચર્ચાઓ થશે
રિપોર્ટમાં કોઈ ખેલાડીનું નામ નથી, પરંતુ વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટ વચ્ચેના સંબંધો પર ચર્ચા થઈ રહી છે. ગયા વર્ષે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, કોહલી અને રોહિતે આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લીધી. ત્યારથી, કોહલી અને રોહિત અને નવા ટીમ મેનેજમેન્ટ વચ્ચે વાતચીતનો અભાવ હોવાના અહેવાલો વધી રહ્યા છે. ટેસ્ટ ક્રિકેટની રણનીતિ, આગામી ICC ટુર્નામેન્ટ અને ટીમના બે મહાન ખેલાડીઓ વચ્ચેના સંબંધો, આ બધી બાબતો આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ બનાવી રહી છે.





















