Home Gujarat Bavla Station Road Damaged Exposed Iron Rods Accident Risk

બાવળાના સ્ટેશન રોડની બિસ્માર હાલત : શાળા અને હોસ્પિટલના માર્ગ પર જોખમ, બાવળા નગરપાલિકા સામે ઉઠ્યા સવાલો

બાવળાના સ્ટેશન રોડ પર રસ્તામાં બહાર નીકળેલા લોખંડના સળિયા અને બિસ્માર માર્ગ.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 18, 2026, 02:35 PM IST

Bavla News: બાવળા નગરપાલિકા વિસ્તારમાં આવેલા ભારતીય સ્ટેટ બેંકથી મુખીનો ધાર, ઝવેરીજીન અને આર.એ. પટેલ માર્કેટને જોડતા મુખ્ય માર્ગની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. રસ્તાની વચ્ચે કોંક્રિટમાંથી લોખંડના સળિયા બહાર આવી ગયા હોવાથી રાહદારીઓ અને વાહનચાલકો માટે અકસ્માતનો ગંભીર ખતરો ઉભો થયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક લોકો આ સળિયાનો ભોગ બની ચૂક્યા છે.

આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, બેંકોમાં આવતા વરિષ્ઠ નાગરિકો તેમજ વેપારીઓ અવરજવર કરે છે. રસ્તાની જોખમી સ્થિતિને કારણે દરેક પસાર થતા વ્યક્તિને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરવા છતાં હજુ સુધી અસરકારક સમારકામ ન થતાં રોષની લાગણી જોવા મળી રહી છે.

રેલવે અને બસ સ્ટેશન જવા માટેનો મુખ્ય માર્ગ

સ્ટેશન રોડ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન તરફ જવા માટેનો સૌથી ટૂંકો અને મહત્વનો માર્ગ હોવાથી રોજ હજારો લોકો તેનો ઉપયોગ કરે છે. નજીકમાં હોસ્પિટલો આવેલી હોવાથી દર્દીઓ અને એમ્બ્યુલન્સ માટે પણ આ માર્ગ મહત્વનો છે. પરંતુ રસ્તાના ખાડા અને બહાર નીકળેલા સળિયાના કારણે વાહનચાલકો તેમજ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

તાત્કાલિક સમારકામની સ્થાનિકોની માંગ

સ્થાનિકોએ નગરપાલિકા તંત્રને તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવા અને બહાર નીકળેલા સળિયા દૂર કરવાની માંગ કરી છે. જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. રહેવાસીઓએ જનસુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર વહેલી તકે યોગ્ય પગલાં ભરે તેવી અપીલ કરી છે.

રોજિંદી અવરજવરમાં લોકોના જીવ જોખમમાં

સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તાની ખરાબ હાલતને કારણે ટુ-વ્હીલર ચાલકો સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વરસાદી મોસમમાં પાણી ભરાઈ જતાં રસ્તામાં ખાડા અને બહાર નીકળેલા સળિયા દેખાતા નથી, જેના કારણે અકસ્માતની શક્યતા અનેકગણી વધી જાય છે. અનેક વાહનચાલકોને ઈજાઓ પહોંચી હોવાની પણ સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.

તંત્ર સામે ઉઠ્યા સવાલો

આટલો વ્યસ્ત અને મહત્વનો માર્ગ હોવા છતાં લાંબા સમયથી સમારકામ ન થતાં સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે રસ્તાની હાલત અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. સ્થાનિકોએ નગરપાલિકાને તાત્કાલિક રસ્તાનું રિપેરિંગ કરાવી જનસુરક્ષાને પ્રાથમિકતા આપવા માંગ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now