Vadodara News: બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) માં ફરી એકવાર આંતરિક જૂથવાદ અને સત્તાના દુરુપયોગના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. રિવાયવલ ગ્રુપ અને રોયલ સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા વર્તમાન વહીવટદારો સામે હાઈકોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરી મનસ્વી રીતે નિર્ણયો લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેના કારણે વડોદરાના ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
કેર ટેકર બોડીને અંધારામાં રાખી લેવાય છે નિર્ણયો
રોયલ સત્યમેવ જયતે ગ્રુપના દર્શન બેન્કરે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હાઈકોર્ટના આદેશ મુજબ કાર્યરત 'કેર ટેકર બોડી' ના સભ્યોની જાણ બહાર એસોસિએશનમાં મોટા અને મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને નાણાકીય વ્યવહારો અને નીતિગત નિર્ણયો લેતી વખતે કેર ટેકર બોડીને વિશ્વાસમાં લેવામાં આવતી નથી. એટલું જ નહીં, બોડીના સભ્ય અનંત ઇંદુલકરને જાણીબૂઝીને મીટિંગમાં બોલાવવામાં આવતા ન હોવાનો પણ ઘટસ્ફોટ કરાયો છે.
સામાન્ય લોકોને મોંઘવારીનો 440 વોટનો ઝટકો! : અમૂલ દૂધના ભાવમાં વધારો, જાણો શું છે નવી કિંમત
સ્નેહલ પરીખની ભૂમિકા સામે સવાલો
આ વિવાદના કેન્દ્રમાં CEO સ્નેહલ પરીખની કામગીરી પણ છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્નેહલ પરીખની CEO તરીકેની મુદત અને જવાબદારી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, તેઓ હજુ પણ અનધિકૃત રીતે હોદ્દા પર રહીને કામગીરી કરી રહ્યા છે. ગ્રુપના મતે, આ હાઈકોર્ટના સ્પષ્ટ નિર્દેશોનું સીધું ઉલ્લંઘન છે.
નાણાંનો વેડફાટ અને કાયદાકીય લડાઈ
દર્શન બેન્કરે વધુમાં ઉમેર્યું કે, "હાઈકોર્ટના નિર્ણયનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. જે કેસમાં વ્યક્તિગત વિવાદો છે, તેમાં પણ BCA ના ભંડોળનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. સંસ્થાના નાણાંનો આ રીતે વ્યક્તિગત હિતો માટે વેડફાટ કરવો તે ગેરવ્યાજબી છે."
કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની તૈયારી
આ સમગ્ર મામલે રોયલ સત્યમેવ જયતે ગ્રુપ હવે કાયદાકીય માર્ગ અપનાવશે. હાઈકોર્ટના આદેશોની અવજ્ઞા બદલ વહીવટદારો સામે 'કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ' (અદાલતની અવમાનના) ની અરજી દાખલ કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.





