Pakistan Serial Blasts: પાકિસ્તાનના સૌથી અશાંત પ્રાંત, બલુચિસ્તાનમાં શનિવારનો દિવસ ભયાનક રહ્યો, જેમાં નવ શહેરોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા. પાકિસ્તાની સૈન્યના જણાવ્યા અનુસાર, પ્રાંતમાં અનેક આતંકવાદ વિરોધી કાર્યવાહી દરમિયાન ઓછામાં ઓછા 15 સૈનિકો અને 92 આતંકવાદીઓ માર્યા ગયા. સેનાએ જણાવ્યું હતું કે બલુચ બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલાઓ બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
સેનાએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ ક્વેટા, મસ્તુંગ, નુશ્કી, દાલબંદીન, ખારાન, પંજગુર, તુમ્પ, ગ્વાદર અને પાસનીમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળો અને કાયદા અમલીકરણ એજન્સીઓએ ઝડપથી કાર્યવાહી કરી અને તેમના આયોજનોને નિષ્ફળ બનાવ્યા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં ત્રણ આત્મઘાતી બોમ્બરનો પણ સમાવેશ થાય છે.
પાકિસ્તાન ગૃહમંત્રીએ ભારત પર લગાવ્યા આરોપ
બલૂચિસ્તાનમાં પાકિસ્તાનની નીતિઓ અને ગ્વાદર આર્થિક કોરિડોરનો વિરોધ કરતાં લોકો વાંરવાર હિંસક ઘટનાઓમાં સામેલ હોય છે. પાકિસ્તાન આ ઘટનાઓ માટે વારંવાર ભારતને જવાબદાર કહેતું રહે છે. આ વખતે પણ ગૃહમંત્રી મોહસિન નકવીએ કહ્યું કે આ હુમલો સામાન્ય નહતો અને આની પાછળ ભારતનો હાથ છે. હુમલા બાદ ક્વેટા પહોંચીને તેમણે કહ્યું કે બ્લાસ્ટની છે યોજના ભારતે બનાવી છે અને અંજામ આપનારાઓની મદદ પણ કરી છે.
સામાન્ય નાગરિકોને પણ ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા
આતંકીઓના નામે સામાન્ય નાગરિકો પર પણ હુમલો કર્યો. જેમાં મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને મજૂરો સહિત 18 લોકોનું મોત થયું છે. ઓપરેશન અને અથડામણમાં 15 સૈનકો પણ શહીદ થયા છે. આ બાદ પંજગુર અને હરનાઈ જિલ્લામાં કરવામાં આવેલા ઓપરેશનમાં પ્રતિબંધિત સંગઠન તહરિક-એ-તાલિબાન પાકિસ્તાનના 41 આતંકવાદી ઠાર મરાયા છે. આર્મીનું કહેવું છે કે છેલ્લા 2 દિવસોમાં બલૂચિસ્તાનમાં કરવામાં આવેલા ઓપરેશનમાં કુલ 133 આતંકવાદીઓ ઠાર મરાયા છે.
બલૂચ લિબરેશન આર્મીનો દાવો
બલૂચ લિબરેશન આર્મીએ હુમલાઓની જવાબદારી લેતા કહ્યું કે, તેમણે માત્ર 9 નહિ, પણ 14 શહેરોના 48 અલગ-અલગ સ્થળોએ હુમલો કર્યો છે. તેમણે આ ઓપરેશનનું નામ 'ઓપરેશન હરૂફ' રખ્યું હતું. બલૂચ આર્મીએ દાવો કર્યો છે કે આ હુમલાઓમાં ઘણા પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓ પકડ્યા અને ઘણી સરકારી સંપત્તિઓ અને પોસ્ટ્સ પર તેમનું કંટ્રોલ મેળવ્યું છે. તેમનું કહેવું હતું કે આ ઓપરેશન પાકિસ્તાન વિરુદ્ધ મોટા પ્રમાણમાં રણનૈતિક કાર્યવાહીનો ભાગ હતું.





















