બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હંમેશા પોતાના નિવેદનો અને પરચાઓને કારણે ચર્ચામાં રહે છે. અત્યાર સુધી તમે તેમને કથા સંભળાવતા અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવતા જોયા હશે પરંતુ હવે તેઓ એક વિદ્યાર્થી તરીકે પણ જોવા મળી શકે છે. તાજેતરમાં તેમણે મીડિયા સાથેની વાતચીતમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેઓ ઉચ્ચ અભ્યાસ કરવાની તૈયારી કરી રહ્યા છે. સૌથી નવાઈની વાત એ છે કે તેમણે પોતાના સંશોધન એટલે કે પીએચડી માટે જે વિષય પસંદ કર્યો છે તે સાંભળીને ભલભલા લોકો વિચારમાં પડી ગયા છે.
એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીને તેમના અભ્યાસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ અત્યારે સતત વાંચન કરી રહ્યા છે અને ભવિષ્યમાં પીએચડી કરવાની યોજના ધરાવે છે. જ્યારે પત્રકારે તેમને પૂછ્યું કે તેઓ કયા વિષય પર સંશોધન કરવા માંગે છે તો તેમણે હસતા મુખે જવાબ આપ્યો કે તેમનો વિષય ઘણો ખતરનાક છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ ભૂત પ્રેત પર પીએચડી કરવા માંગે છે. આ સાંભળીને ત્યાં હાજર સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
પોતાના આ નિર્ણયને યોગ્ય ઠેરવતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ દાવો કર્યો કે દુનિયામાં ઘણા લોકોએ આ વિષય પર અભ્યાસ કર્યો છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પણ ભૂતો પર એક ખાસ વિષય ભણાવવામાં આવે છે. જોકે તેમણે અત્યારે કોઈ કોલેજમાં એડમિશન લીધું નથી પરંતુ તેમણે ઈચ્છા વ્યક્ત કરી છે કે તેઓ ભવિષ્યમાં વિદેશની કોઈ મોટી યુનિવર્સિટીમાં આ વિષય પર પીએચડી કરવા માટે એપ્લાય જરૂર કરશે.
તમને જણાવી દઈએ કે દુનિયામાં ખરેખર એવી કેટલીક યુનિવર્સિટીઓ છે જ્યાં પેરાનોર્મલ એક્ટિવિટીઝ એટલે કે અલૌકિક ઘટનાઓ પર અભ્યાસ કરવામાં આવે છે. એડિનબરા યુનિવર્સિટી છેલ્લા 50 વર્ષથી આ પ્રકારનો કોર્સ ચલાવી રહી છે જેમાં વિદ્યાર્થીઓને ભૂત અને આત્માઓ વિશે ભણાવવામાં આવે છે. આ ઉપરાંત થોમસ ફ્રાન્સિસ યુનિવર્સિટી અને ભારતમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી પણ આ ક્ષેત્રમાં સક્રિય છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં આયુર્વેદ વિભાગ અંતર્ગત ભૂત વિદ્યા નામનો સર્ટિફિકેટ કોર્સ ચલાવવામાં આવે છે જેમાં માનસિક બીમારીઓ અને તેના ઉપચાર વિશે પ્રાચીન પદ્ધતિઓ શીખવવામાં આવે છે.





















