ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આયુષ્માન ભારત યોજના દેશના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે અત્યંત આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની નિઃશુલ્ક તબીબી સારવાર પૂરી પાડવામાં આવે છે. જોકે તાજેતરમાં એવું જોવા મળ્યું છે કે ઘણીવાર નાની ટેકનિકલ ખામી કે માહિતીની વિસંગતતાને કારણે લોકોના આયુષ્માન કાર્ડ રિજેક્ટ થઈ રહ્યા છે. જો તમે પણ આ કાર્ડ માટે અરજી કરી રહ્યા હોવ તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું અનિવાર્ય છે.
આયુષ્માન કાર્ડ મેળવવા માટેની સૌથી પ્રાથમિક શરત એ છે કે અરજદારની તમામ માહિતી સરકારી રેકોર્ડ અને ડેટા સાથે સંપૂર્ણપણે મેચ થવી જોઈએ. જો તમારા આધાર કાર્ડમાં રહેલી વિગતો સોર્સ ડેટા સાથે સુસંગત નહીં હોય તો તમારી અરજી રદ થવાની પૂરેપૂરી સંભાવના છે.
ભૂલથી પણ આ 5 બાબતોમાં ગફલત ના કરો
તમારા આધાર કાર્ડ અને સરકારી રેકોર્ડમાં રહેલા નામના સ્પેલિંગ અથવા પિતાના નામના સ્પેલિંગમાં કોઈ તફાવત ન હોવો જોઈએ.
જન્મ તારીખમાં મહિનો, વર્ષ કે દિવસની કોઈ ભૂલ હોય તો પણ કાર્ડ રિજેક્ટ થઈ શકે છે.
જેન્ડર એટલે કે જાતિની માહિતી જો ડેટા સાથે મેચ નહીં થાય તો કાર્ડ મંજૂર કરવામાં આવશે નહીં.
તમારા વર્તમાન સરનામા અને સરકારી રેકોર્ડમાં નોંધાયેલા એડ્રેસમાં તફાવત હોવો જોઈએ નહીં.
નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) અને આધાર કાર્ડના ડેટાનું દરેક સ્તરે એક સમાન હોવું ફરજિયાત છે.
ગંભીર બીમારીઓનો મફત ઈલાજ
આયુષ્માન કાર્ડ ધરાવતા નાગરિકો દેશની હજારો સરકારી અને પસંદગીની ખાનગી હોસ્પિટલોમાં કેન્સર, કિડનીની બીમારી, હૃદયરોગ, ડેન્ગ્યુ, મેલેરિયા, ડાયાલિસિસ અને મોતિયાબિંદ જેવી ગંભીર બીમારીઓની સારવાર વિનામૂલ્યે કરાવી શકે છે. આ સુવિધાને કારણે મોંઘી સારવારના આર્થિક બોજમાંથી સામાન્ય માણસને મોટી રાહત મળે છે.
મોબાઈલ દ્વારા આ રીતે બનાવો કાર્ડ
સૌ પ્રથમ તમારા સ્માર્ટફોનમાં 'Ayushman App' ઇન્સ્ટોલ કરો.
એપ્લિકેશન ખોલીને 'Beneficiary' વિકલ્પ પસંદ કરો અને તમારો મોબાઈલ નંબર તથા કેપ્ચા કોડ દાખલ કરો.
સ્કીમ સેક્શનમાં 'PMJAY' પસંદ કરીને તમારું રાજ્ય અને જિલ્લો સિલેક્ટ કરો.
ત્યારબાદ તમારો આધાર નંબર નાખીને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરો.
આયુષ્માન ભારત યોજના લાખો લોકો માટે મુશ્કેલ સમયમાં આશાનું કિરણ છે. જો તમે સાચા દસ્તાવેજો અને સચોટ માહિતી સાથે એપ્લિકેશન કરશો તો બીમારીના સમયે તમારે નાણાકીય ચિંતા કરવી પડશે નહીં.





















