રામમંદિરમાં ચોરીનો મામલો
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવેલા દાન અને ચઢાવામાંથી કરોડો રૂપિયાની ચોરીના કેસમાં મોટો ધડાકો થયો છે. આ મામલે ચાલી રહેલા ભારે વિવાદ વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસને સોંપ્યું છે. તેમની સાથે ટ્રસ્ટના અન્ય એક મહત્વના સભ્ય ડૉ. અનિલ મિશ્રાએ પણ રાજીનામું આપી દીધું છે.
ટ્રસ્ટના સભ્ય નૃપેન્દ્ર મિશ્રાએ પણ આ બંને રાજીનામાની પુષ્ટિ કરી છે. બીજી તરફ, આ મામલાની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના અહેવાલ બાદ પોલીસે ગુરુવારે મોડી રાત્રે મોટી કાર્યવાહી કરીને 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 લોકોની ધરપકડ
રામ મંદિરમાં ચઢાવાની ગણતરી અને વ્યવસ્થા સાથે જોડાયેલા લોકો સામે પ્રથમ FIR નોંધીને પોલીસે તપાસ તેજ કરી છે. ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહનની ફરિયાદના આધારે અયોધ્યાના રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
ધરપકડ કરાયેલા મુખ્ય આરોપીઓમાં ચંપત રાયના નજીકના ગણાતા રમાશંકર યાદવ ઉર્ફે ટિન્નુનો સમાવેશ થાય છે. પોલીસ પકડાયેલા તમામ 8 આરોપીઓને કોર્ટમાં હાજર કરીને તેમના 14 દિવસના રિમાન્ડની માંગણી કરશે.
FIR માં આ 8 આરોપીઓના નામ સામેલ છે:
રામશંકર યાદવ (ટિન્નુ)
લવકુશ મિશ્રા
અનુકલ્પ મિશ્રા
અવિનાશ શુક્લા
મનીષ યાદવ
રમાશંકર મિશ્રા
સુભાષ ચંદ્ર શ્રીવાસ્તવ
કરુણેશ પાંડે
SIT તપાસમાં ચોંકાવનારા ખુલાસા
મંદિરમાં ચોરીનો આ મામલો સૌથી પહેલા 7 જૂનના રોજ સામે આવ્યો હતો, જેના પછી ઉત્તર પ્રદેશ સરકારે 13 જૂને SIT ની રચના કરી હતી. SIT એ 23 જૂને પોતાનો પ્રારંભિક રિપોર્ટ સોંપ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે દાનપાત્રોની ચાવીઓ ટિન્નુ પાસે રહેતી હતી. SIT એ એવા 150 જેટલા કર્મચારીઓ અને સેવાભાવીઓની યાદી તૈયાર કરી છે, જેમની આર્થિક સ્થિતિ 22 જાન્યુઆરી 2024 ના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ અચાનક ખૂબ બદલાઈ ગઈ હતી.
રાજકીય ગરમાવો: વિપક્ષના આકરા પ્રહારો
આ સમગ્ર વિવાદ વચ્ચે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે રામલલ્લાના દર્શન કર્યા હતા અને આ ઘટનાને 'મહાપાપ' ગણાવી કડક સજાની માંગ કરી હતી. તેમણે આક્ષેપ કર્યો કે FIR માત્ર દેખાડો છે અને મોટા માથાઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બીજી તરફ, શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે પણ સવાલ ઉઠાવ્યો છે કે ઉદ્ધવ ઠાકરે દ્વારા દાનમાં આપવામાં આવેલી 1 કરોડ રૂપિયા અને 4 કિલો ચાંદીની ઈંટ ક્યાં ગઈ, કારણ કે તેની કોઈ રસીદ આજ સુધી મળી નથી.





