વર્ષ 2026ને લઈને જ્યોતિષ શાસ્ત્રમાં ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે. ગ્રહોની સ્થિતિ એવો સંકેત આપી રહી છે કે આવનારું વર્ષ વિશ્વ માટે મોટી ઉથલપાથલ લઈને આવી શકે છે. જોકે આ સીધું યુદ્ધ નહીં હોય, પરંતુ દુનિયાના નકશા પર તણાવ ચરમસીમાએ હશે. જ્યોતિષીય ગણતરીઓ મુજબ રશિયા-યુક્રેન, મધ્ય પૂર્વ, ચીન-તાઇવાન અને ભારત-ચીન સરહદો પર સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 2026માં શનિ મીન રાશિમાં હોવાથી સમુદ્ર અને જળમાર્ગો પર મોટી અસર જોવા મળશે. આના કારણે વૈશ્વિક વેપાર, સપ્લાય ચેઇન અને બંદરો પર સંકટના વાદળો ઘેરાયેલા રહેશે. કાળા સમુદ્ર અને દક્ષિણ ચીન સાગરમાં તણાવ વધી શકે છે. શનિની આ સ્થિતિ સીધું યુદ્ધ નહીં કરાવે પરંતુ યુદ્ધ જેવી વ્યૂહાત્મક પરિસ્થિતિઓનું નિર્માણ કરશે જ્યાં દરેક દેશને પોતાની સુરક્ષા અને પુરવઠાની ચિંતા સતાવશે.
બીજી તરફ રાહુ કુંભ રાશિમાં હોવાથી ટેકનોલોજી અને આકાશી યુદ્ધનું જોખમ વધશે. 2026માં જમીન પર સૈનિકો લડશે તેના બદલે ડ્રોન, સેટેલાઇટ અને સાયબર હુમલાઓ દ્વારા યુદ્ધ લડાશે તેવી શક્યતા છે. ડેટા ચોરી, જીપીએસ જામિંગ અને જાસૂસી જેવી ઘટનાઓ સામાન્ય બની જશે. નાટો અને ક્વાડ જેવા સંગઠનો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાઈ શકે છે. કેતુ સિંહ રાશિમાં હોવાથી નેતૃત્વ પર દબાણ આવશે અને નેતાઓ આકરા નિર્ણયો લેવા મજબૂર બનશે.
જ્યોતિષીય વિશ્લેષણ મુજબ ફેબ્રુઆરી-માર્ચ 2026માં ગ્રહણના કારણે વૈશ્વિક તણાવમાં અચાનક ઉછાળો આવી શકે છે. મધ્ય પૂર્વના દેશો ઈઝરાયેલ, ઈરાન અને લેબનોન માટે આ સમય ખૂબ જ વિસ્ફોટક સાબિત થઈ શકે છે. જ્યારે જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે શનિ વક્રી થતા રાજકીય સમીકરણો બદલાશે. ભારત માટે આ વર્ષ સતર્કતાનું રહેશે, ખાસ કરીને પાકિસ્તાન અને ચીન સરહદે સાવચેતી રાખવી પડશે. એકંદરે 2026 શાંતિ અને કૂટનીતિ માટે અગ્નિપરીક્ષા સમાન બની રહેશે.





















