ગુજરાતના રાજકારણમાં એક સમયના કોંગ્રેસના મજબૂત સ્તંભ રહેલા અને હાલમાં ભાજપના ધારાસભ્ય બન્યા છે એવા અર્જુનભાઈ મોઢવાડિયાને નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. આ સાથે જ તેમના રાજકીય સફરની નવી ઈનિંગ મંત્રી તરીકે શરૂ થઈ છે.
કોણ છે અર્જુનભાઈ મોઢવાડિયા?
લાંબા સમય સુધી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રહેલા હવે ભાજપ સરકારના પહેલી હરોળના નેતા બની ગયા છે. પોરબંદરથી અનેક વખત ચૂંટણી લડી અને જીત પ્રાપ્ત કરી અને નિષ્ઠાવાન અને પ્રભાવશાળી વક્તા તરીકે ઓળખ ધરાવે છે. વર્ષો સુધી વિપક્ષના નેતા તરીકે કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કર્યું અને 2022ની વિધાનસભા ચૂંટણી પંજા પરથી લડી જીતી અને રાજીનામું આપ્યું ત્યારબાદ પેટા ચૂંટણી લડીને ભાજપનો હાથે પકડી પંજો છોડ્યો અને કમળ પકડ્યું જે આખરે તેમને ફળ્યો છે.
કમળ પકડીને મંત્રાલય સુધીનો સફર
અર્જુનભાઈએ ભાજપમાં જોડાયા બાદ પોરબંદર બેઠક પરથી ચૂંટણી જીતી. તેમના અનુભવ, વિસ્તૃત ઓળખ અને વિસ્તારમાં અસરકારક કામકાજના આધારે ભાજપે હવે તેમને મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે.
પ્રારંભીક જીવન અને શિક્ષણ કાર્ય
અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયાનો જન્મ 17 ફેબ્રુઆરી 1957ના રોજ પોરબંદરના મોઢવાડા ગામે થયો હતો. પ્રાથમિક શિક્ષણ પોતાના ગામ મોઢવાડાના સરકારી શાળામાં પૂર્ણ કર્યુ હતું. ત્યારે બાદ 1982માં મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરની સ્નાતક પદવી મેળવેલ છે. લગભગ 1982થી 2002 સુધી તેઓ રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડીકેટ સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતાં. વિગતો મુજબ 1988માં 'એક્ઝીક્યુટીવ કાઉન્સિલ ઓફ યુનિવર્સિટી'ના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. એન્જિન્યરિંગના અભ્યાસ બાદ અર્જુન મોઢવાડિયાએ લગભગ 10 વર્ષ સુધી ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે કામ કર્યુ.
રાજકીય કારર્કિદી
અર્જુન મોઢવાડિયા વર્ષ 1997માં સત્તાવાર રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાયા. પ્રથમ વખત વર્ષ 2002 પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. ત્યરબાદ વર્ષ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યાં. ત્યારબાદ ફરી વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ. આ જવાબદારીને તેમણે ડીસેમ્બર-2012 સુધી નિભાવી હતી. 20 ડિસેમ્બર 2012ના રોજ તેમણે જીપીસીસીના પ્રમુખ પદેથી પણ રાજીનામું આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર બાબુ બોખીરિયા સામે તેઓ ફરીથી 2017માં વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા હતા. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ તેમના નજીકના હરીફ અને ભાજપના ઉમેદવાર બાબુ બોખીરિયાને હરાવીને INC ઉમેદવાર તરીકે ફરી પોરબંદર મતદારક્ષેત્રમાંથી ચૂંટાયા હતા. જે બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. પેટા ચૂંટણી કમળના નિશાન પર લડી અને જીત મેળવી હતી, ત્યારે હવે ભાજપે મંત્રી પદ ધર્યું છે.





















