દેશની રાજધાની દિલ્હીની પોલીસને નવું નેતૃત્વ મળ્યું છે. કેન્દ્ર સરકારે 1994 બેચના IPS અધિકારી અનુરાગ કુમારને દિલ્હી પોલીસના નવા કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા આ અંગે સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે. અનુરાગ કુમાર હાલ સુધી ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)માં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા અને હવે તેઓ દિલ્હી પોલીસની કમાન સંભાળશે. આ નિયુક્તિ સાથે હાલના પોલીસ કમિશનર સતીશ ગોલ્ચાને પદ પરથી હટાવવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ હજુ પૂર્ણ થયો ન હોવા છતાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે કેન્દ્ર સરકાર અથવા ગૃહ મંત્રાલયે આ બદલાવ પાછળનું સત્તાવાર કારણ જાહેર કર્યું નથી. આ નિર્ણયને લઈને પોલીસ વર્તુળોમાં પણ ચર્ચા ચાલી રહી છે.
અનુરાગ કુમાર કોણ છે?
અનુરાગ કુમાર 1994 બેચના AGMUT કેડરના IPS અધિકારી છે. તેઓ લાંબા સમયથી સુરક્ષા અને ગુપ્તચર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. દિલ્હી પોલીસની કમાન સંભાળતા પહેલાં તેઓ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. તેમનો સુરક્ષા વ્યવસ્થાપન, ગુપ્તચર માહિતી અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો લાંબો અનુભવ દિલ્હી જેવા સંવેદનશીલ શહેર માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
સતીશ ગોલ્ચાની જગ્યાએ સંભાળશે જવાબદારી
સતીશ ગોલ્ચાની નિમણૂક ઓગસ્ટ 2025માં દિલ્હી પોલીસ કમિશનર તરીકે કરવામાં આવી હતી. તેઓ 1992 બેચના AGMUT કેડરના IPS અધિકારી છે અને અગાઉ તિહાર જેલના ડિરેક્ટર જનરલ તેમજ દિલ્હી પોલીસમાં સ્પેશિયલ કમિશનર (ઇન્ટેલિજન્સ) સહિત અનેક મહત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યા છે. હવે કેન્દ્ર સરકારે અનુરાગ કુમારને નવી જવાબદારી સોંપતા દિલ્હી પોલીસના ટોચના નેતૃત્વમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે.

દિલ્હી પોલીસ સામે અનેક પડકારો
દિલ્હી પોલીસ દેશની સૌથી મહત્વપૂર્ણ પોલીસ સંસ્થાઓમાંની એક છે. રાજધાનીમાં કાયદો-વ્યવસ્થા જાળવવા ઉપરાંત VVIP સુરક્ષા, આતંકવાદ વિરોધી કામગીરી, મોટા જાહેર કાર્યક્રમોની સુરક્ષા અને સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવાની જવાબદારી પણ દિલ્હી પોલીસ પર છે. આવા સમયે અનુરાગ કુમાર માટે રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવી અને બદલાતી સુરક્ષા પડકારોનો સામનો કરવો પ્રાથમિકતા રહેશે.





