કાગવડ સ્થિત ખોડલધામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આજરોજ નવ વર્ષ પૂર્ણ થયા છે. આ પાવન અવસરને લઈ ખોડલધામ સાથે જોડાયેલા શ્રદ્ધાળુઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આગામી વર્ષ 2027માં ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થવાના હોવાથી આ મહોત્સવને ભવ્ય રીતે ઉજવવા માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
ખોડલધામ કન્વીનર મીટ
આ સંદર્ભમાં વર્ષ 2026 માટે કાગવડ સ્થિત ખોડલધામ ખાતે ખોડલધામ કન્વીનર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ હાજર રહ્યા હતા અને તેમણે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી, જે ખોડલધામ સંગઠન માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
અનાર પટેલ બનશે ખોડલધામ સંગઠનના અધ્યક્ષ
બેઠક દરમિયાન ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. અનાર પટેલ હવે ખોડલધામ સંગઠનને લગતી તમામ કામગીરીની દેખરેખ રાખશે અને સંગઠનની પ્રવૃત્તિઓને વધુ સક્રિય બનાવશે.
અગાઉ અનાર પટેલ મહિલા પાંખના અધ્યક્ષ
ઉલ્લેખનીય છે કે, અગાઉ અનાર પટેલને ખોડલધામ મહિલા પાંખના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી અને તેમની કામગીરીને વખાણવામાં આવી હતી. હવે તેમને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે વધુ મોટી જવાબદારી આપવામાં આવતા ખોડલધામ ટ્રસ્ટ તરફથી તેમના પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
10મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય ઉજવાશે
નરેશ પટેલે જણાવ્યું હતું કે 10મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઐતિહાસિક અને ભવ્ય બનાવવા માટે તમામ સ્તરે આયોજન કરવામાં આવશે અને સમાજના દરેક વર્ગની ભાગીદારી રહેશે. આ મહોત્સવ ખોડલધામના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન બનશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.





















