અમદાવાદમાં આનંદીબેનના પુસ્તક 'ચુનોતિયા મુઝે પસંદ હૈ'નો વિમોચન કાર્યક્રમ ગઈકાલે યોજાયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા તેમણે આનંદીબેનના જીવન પર લખાયેલા પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન અમિત શાહે આનંદીબેન સાથે કરેલી કામગીરીને યાદ કરી હતી.
'...અને છે પણ ચાણકય. કોને આગળ લઈ જવા અને કોને?'
આનંદીબેન પટેલે આ પ્રસંગે અમિત શાહને રાજનીતિના ચાણક્ય ગણાવ્યા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન-ચરિત્ર પર લખાયેલા પુસ્તક 'ચુનૌતિયાં મુઝે પસંદ હૈં' લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે હમણા આપણી વચ્ચેથી વિદાય લીધી..આપણે તેમને ઓળખીએ છીએ. ચાણકયના નામથી. અને છે પણ ચાણકય. કોને આગળ લઈ જવા અને કોને.. ?
'મેં નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે ગૃહમંત્રી અમિતભાઈ ને બનાવો'
આનંદીબેન પટેલે વધુમાં કહ્યું કે, 'અમે કેબિનેટમાં સાથે બેસતા હતા એ બધુ એમને ફાવે, મને ન ફાવે, મારો જીવ શિક્ષણનો છે એટલે મને કોઈ લપસપ ન ગમે, હું મુખ્યમંત્રી બની ત્યારે મેં નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે ગૃહમંત્રી અમિતભાઈ ને બનાવો, બદલીઓનું કામ એ જ કરશે. અને એમની મદદથી ગૃહવિભાગ સારો ચાલ્યો. મને હતું કે આજના પ્રસંગે અમિતભાઈની વિદાય પછી અડધો હોલ ખાલી થઈ જશે પરંતુ બધા હાલ તમે બધા જ મોજુંદ છો તે મારૂ સન્માન છે. આ સાથે તેમણે ગુજરાતમાં દારૂબંધીને લઈને પણ કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી ન હટાવવાની સરકારને સલાહ આપી છે. મે ઉત્તરપ્રદેશમાં અનેક લોકોને દારુ છોડાવ્યો છે. અહીંયા આપણે ગુજરાતમાં દારૂબંધી પરત ખેંચવાનું વિચારી રહ્યા છીએ. મે સાંભળ્યુ તમે ગુજરાતમાં દારૂબંધી હટાવવાનુ વિચારી રહ્યા છે. પરંતુ રાજ્યમાં શાંતિ માટે દારૂબંધી હોવી જરૂરી છે. આપણે ત્યાં દીકરીઓ મોડી રાત સુધી ગરબે રમી શકે તેનુ કારણ દારૂબંધી પણ છે.





















