પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે બુધવારે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. પાકિસ્તાન સામે સૌથી મોટી કાર્યવાહી સિંધુ નદી જળ સંધિને સ્થગિત કરવાની છે. ભારતની કડક કાર્યવાહી બાદ પાકિસ્તાન સરકારે પણ ગુરુવારે એક મોટી બેઠક યોજી હતી. ભારતની કાર્યવાહીથી ગુસ્સે થયેલા પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક યોજી હતી અને કહ્યું હતું કે ભારત દ્વારા પાણી રોકવાને યુદ્ધ માનવામાં આવશે. તેમણે કહ્યું કે અમે મંત્રણા દ્વારા મુદ્દાને ઉકેલવા માંગીએ છીએ પરંતુ ભારતે યુદ્ધ જેવું વાતાવરણ સર્જ્યું છે.
પાણી રોકવું એ યુદ્ધ સમાન ગણાશે- શરીફ
પાકિસ્તાન સરકારની NSC બેઠકમાં ટોચના નાગરિક અને સૈન્ય નેતૃત્વએ ભાગ લીધો હતો અને ભારત દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે પાણી 24 કરોડ લોકોની જીવનરેખા છે. આને યુદ્ધની જેમ ગણવામાં આવશે. પાણી બંધ કરવું એ ભારતનો એકપક્ષીય નિર્ણય છે. પાકિસ્તાન આ વાતને નકારી રહ્યું છે.
ભારત સરકાર દ્વારા કાર્યવાહીની ચેતવણી આપ્યા બાદ પાકિસ્તાને ભારતીય માલિકીની અથવા ભારતીય સંચાલિત એરલાઇન્સ માટે તેની એરસ્પેસ અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. તેમજ ભારતીયોને આપવામાં આવેલા વિઝા રદ કરવામાં આવ્યા છે અને વાઘા બોર્ડર પણ બંધ કરી દેવામાં આવી છે.
પાકિસ્તાને ભારતીય લોકોના વિઝા રદ કર્યા છે. વાઘા બોર્ડર ક્રોસિંગ દ્વારા ભારત તરફથી તમામ ક્રોસ બોર્ડર ટ્રાન્ઝિટ સ્થગિત કરી દેવામાં આવી છે. પાકિસ્તાને SAARC વિઝા મુક્તિ યોજના (SVES) હેઠળ ભારતીય નાગરિકોને આપવામાં આવેલા તમામ વિઝા સસ્પેન્ડ કર્યા છે. શીખ ધાર્મિક યાત્રાળુઓ સિવાય તમામ વિઝા રદ કરવામાં આવ્યા છે. SVES હેઠળ હાલમાં પાકિસ્તાનમાં હાજર ભારતીય નાગરિકોને (સિખ તીર્થયાત્રીઓ સિવાય)ને 48 કલાકની અંદર દેશ છોડી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ભારતીય સંરક્ષણ નૌકા અને હવાઈ સલાહકારોને અનિચ્છનીય જાહેર કરવામાં આવ્યા છે અને 30 એપ્રિલ 2025 પહેલા પાકિસ્તાન છોડી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનની ક્ષમતા 30 એપ્રિલ 2025 થી 30 રાજદ્વારીઓ અને કર્મચારીઓ સુધી મર્યાદિત રહેશે. પાકિસ્તાન મારફતે કોઈપણ ત્રીજા દેશથી ભારત સાથેનો તમામ વેપાર તાત્કાલિક સ્થગિત કરવામાં આવશે.






