Amol Palekar: બોલિવૂડ એક્ટર અમોલ પાલેકર ભલે લાંબા સમયથી ફિલ્મોથી દૂર હોય, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેમણે ઘણી શાનદાર ફિલ્મો આપી હતી. તેમનું નામ આજે પણ બોલિવૂડના સફળ કલાકારોમાં ગણવામાં આવે છે. તાજેતરમાં અમોલ પાલેકર તેના એક ઇન્ટરવ્યુને કારણે ચર્ચામાં આવ્યા છે, જ્યાં તેમણે બોલિવૂડના દિગ્ગજ સુપરસ્ટાર રાજેશ ખન્નાને નરભક્ષક કહીને સંબોધિત કર્યા છે. આટલું જ નહીં ફિલ્મ આંચલ સાથે સંબંધિત એક કિસ્સો શેર કરતી વખતે અભિનેતાએ સુપરસ્ટાર વિશે ઘણા ખુલાસા કર્યા અને તેની ટીકા પણ કરી. ચાલો જાણીએ આખો મામલો...
અમોલ પાલેકરે કરી ટીકા
અમોલ પાલેકર તાજેતરમાં Lallantopને આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમની ફિલ્મ આંચલ સાથે જોડાયેલી એક ઘટના શેર કરી હતી. જેમાં તેમનો સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે અણબનાવ થયો હતો. અમોલ પાલેકરે કહ્યું કે, 'કોઈ પણ અભિનેતા, ખાસ કરીને સુપરસ્ટાર રાજેશ ખન્નાએ ફિલ્મના સેટ પર તેના સહ કલાકારોનું અપમાન ન કરવું જોઈએ. મને નથી લાગતું કે તેની જરૂર છે. તમે સુપરસ્ટાર જ રહેશો.
રાજેશ ખન્નાને કહ્યા નરભક્ષક?
અમોલ પાલેકરે વધુમાં કહ્યું કે, 'અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવું કહેવામાં આવે છે અરે તે તો ધાંસૂ એક્ટર છે, તેમણે તો પૂરો સીન ખાઈ લીધો, તેમને તેના કો-એક્ટરની છુટ્ટી કરી નાખી. હું આ પ્રકારના અભિનેતાને નરભક્ષક કહું છું. હું આવા નરભક્ષક કલાકારોમાંનો એક પણ નથી.' તેની ફિલ્મ આંચલ સાથે સંબંધિત એક કિસ્સો શેર કરતી વખતે, અમોલ પાલેકરે કહ્યું કે, 'તે દ્રશ્યમાં મારી કોઈ લાઇન નહોતી. હું એક શબ્દ પણ બોલ્યો ન હતો છતાં તેમને દુનિયાને બતાવવાની જરૂર લાગી કે તે મારા કરતા સારો છે.'
અમોલ પાલેકરે વધુમાં કહ્યું કે, 'રાજેશ ખન્નાને શું જરૂર છે કે આ એક્ટર કેટલો નાનો છે. મારી ઊંચાઈ ઓછી હોવાથી તમારી લંબાઈ કે ઊંચાઈ નથી વધતી. હું તેના વિશે વિચારતો હતો અને પછી મેં નક્કી કર્યું કે હું આ ફરી ક્યારેય નહીં થવા દઉં. હું બીજા કોઈ સાથે આવું વર્તન કરીશ નહીં.
શું હતો ફિલ્મ સાથે સંબંધિત સીન?
ઉલ્લેખનીય છે કે, આંચલ ફિલ્મમાં બન્ને સ્ટાર્સ રાજેશ ખન્ના અને અમોલ પાલેકરે સ્ક્રીન શેર કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં એક સીન હતો, જેમાં અમોલે રાજેશ ખન્નાના પગ પાસે બેસીને તેમની માફી માંગવી પડી હતી. જ્યારે રાજેશ ખન્નાએ તેને લાત મારવી પડી હતી. અમોલ પાલેકરે આ સીન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમનું માનવું હતું કે આ દ્રશ્યમાં સામેના પાત્રને નીચું દેખાડવામાં આવી રહ્યું છે.
આ કારણે બગડ્યા બન્નેના સંબંધો
અહેવાલો અનુસાર ફિલ્મના નિર્દેશક અનિલ ગાંગુલીએ અમોલ પાલેકરને સીન કરતી વખતે જ રાજેશ ખન્નાના પગ પાસે બેસવાનું કહ્યું હતું. આના પર અભિનેતા સીન કરવા માટે રાજી થઈ ગયો. જ્યારે આ સીન ફિલ્માવવામાં આવી રહ્યો હતો અને અમોલ પાલેકર રાજેશ ખન્નાના પગ પાસે બેઠો હતો, ત્યારે ડિરેક્ટરે રાજેશ ખન્નાને અમોલને લાત મારવાનો ઈશારો કર્યો. સુપરસ્ટારે એવું જ કર્યું. કહેવાય છે કે અહીંથી અમોલ પાલેકર અને રાજેશ ખન્ના વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી હતી.




















