કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં સરહદ સુરક્ષા દળ (BSF) ના જવાનોને સંબોધિત કર્યાહતા. આ પ્રસંગે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર, કેન્દ્રીય ગૃહ સચિવ, ગુપ્તચર બ્યૂરોના ડિરેક્ટર અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડિરેક્ટર જનરલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે તેઓ આજે દેશના 140કરોડ લોકો વતી સરહદ સુરક્ષા દળના તમામ સરહદ રક્ષકોનો આભાર માનવા માટે અહીં આવ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે પણ ભારતની સરહદ પર કોઈપણ પ્રકારનો હુમલો થાય છે, ત્યારે BSF જવાનો સૌથી પહેલા તે હુમલાનો સામનો કરે છે. કોઈપણ પરિસ્થિતિમાં, સરહદ સુરક્ષા દળના જવાનો 365 દિવસ અને 24 કલાક ઉપલબ્ધ, સતર્ક અને સમર્પિત રહે છે. અમિત શાહે કહ્યું કે BSF સૈનિકોના કારણે જ કોઈ પણ હુમલો દેશની સરહદોને સીધું નુકસાન પહોંચાડી શકતો નથી. કારણ કે તેનો સામનો કરનાર પ્રથમ વ્યક્તિ સરહદ સુરક્ષા દળના સૈનિકની છાતી હોય છે.
અમિત શાહે કહ્યું કે આ જ કારણ છે કે દેશનું દરેક બાળક BSF સરહદ રક્ષકોને દેશની પ્રથમ રક્ષા હરોળ તરીકે જાણે છે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન, તેમની પરંપરાઓ જાળવી રાખીને, જમ્મુ અને રાજસ્થાન ફ્રન્ટીયર અને દૂરના કચ્છ સરહદ પર તૈનાત BSF સૈનિકોએ સંપૂર્ણ સતર્કતા સાથે દેશની સરહદોનું રક્ષણ કર્યું છે. અમિત શાહે કહ્યું કે જ્યારે પાકિસ્તાને ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદીઓ પરના હુમલાના જવાબમાં અમારા રહેણાંક વિસ્તારો પર હુમલો કર્યો, ત્યારે અમારા BSF સૈનિકોએ જમ્મુ ફ્રન્ટીયરમાં 118 થી વધુ પાકિસ્તાની ચોકીઓને નષ્ટ અને નુકસાન પહોંચાડ્યું. તેમણે કહ્યું કે BSF એ પાકિસ્તાનની સમગ્ર દેખરેખ વ્યવસ્થાનો નાશ કર્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે શાંતિના સમયમાં પણ, BSF એ પાકિસ્તાનની ચોકીઓ પર કડક નજર રાખી અને ઓપરેશન સિંદૂર દરમિયાન, સચોટ માહિતીના આધારે અને શક્ય તેટલા ઓછા સમયમાં, પાકિસ્તાનની ચોકીઓને મહત્તમ નુકસાન પહોંચાડ્યું. શાહે કહ્યું કે BSF એ પાકિસ્તાનના દેખરેખ સાધનોને મહત્તમ નુકસાન પહોંચાડ્યું છે. તેમણે કહ્યું કે આવી બહાદુરી ત્યારે જ જોઈ શકાય છે. જ્યારે દેશમાં ગર્વ હોય, હૃદયમાં દેશભક્તિની ભાવના હોય અને સર્વોચ્ચ બલિદાન આપવાની ભાવના હોય. ગૃહમંત્રીએ કહ્યું કે BSF જવાનોનું સમર્પણ, વીરતા, બહાદુરી અને બલિદાન આજે દેશના દરેક બાળકની જીભ પર છે.






