Ambalal Patel : ઉત્તરાયણને લઈને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે હવામાન અને પવન અંગે વિસ્તૃત આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવનની ઝડપ સરેરાશ 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાક રહેશે, જે પતંગ ઉડાડવા માટે અનુકૂળ વાતાવરણ બનાવશે.
'આઠથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે'
અંબાલાલ પટેલે જણાવ્યું કે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાધનપુર સહિતના વિસ્તારોમાં ઉત્તરાયણ દરમિયાન પવન આઠથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. ઉત્તરાયણના દિવસે સવાર, બપોર અને સાંજ એમ ત્રણ અલગ-અલગ પહોરમાં પવનની ઝડપ અલગ-અલગ રહેવાની શક્યતા છે, જેના કારણે દિવસભર પતંગરસિકોને અનુકૂળ પવન મળશે.
'વાસી ઉત્તરાયણના દિવસે પવનનું જોર થોડું ઘટશે'
તેમણે વધુમાં જણાવ્યું કે દરિયા કિનારાના વિસ્તારોમાં પવનની ઝડપ આશરે 12 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. જ્યારે વાસી ઉત્તરાયણના દિવસે પવનનું જોર થોડું ઘટશે અને અંદાજે બે કિલોમીટર પ્રતિ કલાક જેટલું ધીમું પડશે. તેમ છતાં, બંને દિવસ દરમિયાન પતંગરસિકોને પવનના જોરથી ખુશ રહેવાનો મોકો મળશે.
'વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા'
આગાહીકાર અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે આગામી 16, 17 અને 18 જાન્યુઆરી દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત 22 જાન્યુઆરીથી ત્રણ દિવસ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, જેના કારણે રાજસ્થાન અને ગુજરાતના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.





















