Weather Update: ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે અને બે દિવસ બાદ તાપમાન ઘટવાની શક્યતા છે. જો કે, તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો નોંધાયા બાદ ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે. આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે.
કાતિલ ઠંડીની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. જે બાદ દિવસ દરમિયાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. એટલે કે સોમવારથી ફરી કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે.
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે શનિવારે નલિયામાં 9, વડોદરામાં 13, ડીસામાં 13.3, ભુજમાં 13.4, અમદાવાદમાં 14.1, મહુવામાં 14.5, પોરબંદરમાં 15, ભાવનગરમાં 15.2, અમરેલીમાં 15.5, વીવી નગરમાં 15.6, સુરેન્દ્રનગરમાં 16, સુરતમાં 16.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર!
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, જાન્યુઆરી મહિનામાં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. એશિયા ખંડમાંથી આવતા ઠંડા પવનને કારણે ઠંડીમાં વધારો થશે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. તેમજ 8 જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં લઘુતમ તાપમાન ઘટશે અને ઠંડીનું જોર વધશે. એટલે કે 8 જાન્યુઆરી સુધીમાં ફરી ઠંડીનો એક રાઉન્ડ આવશે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં 8 જાન્યુઆરીથી બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે અને 12 જાન્યુઆરીના રોજ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. જેના કારણે મકરસંક્રાંતિ પર વાદળો આવશે અને હવામાનમાં મોટા બદલાવ આવશે. દેશના મેદાની ભાગો, રાજસ્થાનના ભાગો અને ગુજરાતમાં વરસાદી છાંટા પડશે અને ઉત્તર ભારતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી વધશે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ






