Banaskantha News: બનાસકાંઠાના વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. મંદિરના ભંડારમાં થયેલી ચોરીના કેસમાં હવે નવા CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેના આધારે મે મહિનામાં જ નહીં પરંતુ તે પહેલાં એપ્રિલ મહિનામાં પણ ભંડારમાંથી નાણાંની ચોરી થઈ હોવાના સંકેતો મળ્યા છે. નવા ફૂટેજ સામે આવતા સમગ્ર મામલાએ ફરી એકવાર ગંભીર વળાંક લીધો છે અને મંદિરની સુરક્ષા વ્યવસ્થા તેમજ ભંડાર વ્યવસ્થાપન અંગે અનેક સવાલો ઉભા થયા છે.
7 મેના રોજ નોંધાઈ હતી રૂ. 1.04 લાખની ચોરી, હવે એક મહિના પહેલાના પુરાવા સામે આવ્યા
ઉલ્લેખનીય છે કે 7 મે, 2026ના રોજ અંબાજી મંદિરના ભંડારમાંથી અંદાજે રૂ. 1.04 લાખની ચોરી થઈ હોવાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે હવે તપાસ દરમિયાન 21 એપ્રિલ, 2026ના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ભંડારમાંથી નાણાંની ચોરી થતી હોવાનું દેખાઈ રહ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. આથી સ્પષ્ટ સંકેત મળે છે કે ચોરીની ઘટના એક જ દિવસની નહીં પરંતુ સતત થઈ રહી હતી.
21 એપ્રિલના CCTVમાં પણ નોટોના બંડલ કાઢતા દૃશ્યો દેખાતા હોવાનો દાવો
મળતી વિગતો મુજબ 21 એપ્રિલના CCTV ફૂટેજમાં એક વ્યક્તિ ભંડારમાંથી નોટોના બંડલ કાઢી પહેલા પોતાના પગ નીચે મૂકે છે અને ત્યારબાદ તેને લેગા (કપડાં/થેલી)માં મૂકતો હોવાનું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે. જો આ ફૂટેજની સત્તાવાર રીતે પુષ્ટિ થાય તો મંદિરના ભંડારમાં નિયમિત રીતે ચોરી થતી હોવાના આક્ષેપોને વધુ બળ મળી શકે છે.
મે મહિનાની ઘટનાના સમયે CCTV બંધ હતા, હવે એપ્રિલના ફૂટેજ બન્યા મહત્વના પુરાવા
મે મહિનામાં જ્યારે ચોરી થઈ હતી ત્યારે ઘટનાસ્થળના CCTV કેમેરા કાર્યરત ન હોવાની વાત સામે આવી હતી. તે સમયે આ મુદ્દે અનેક પ્રશ્નો ઊભા થયા હતા. હવે એપ્રિલ મહિનાના CCTV ફૂટેજ સામે આવતા તપાસ એજન્સીઓ માટે મહત્વના પુરાવા મળ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ફૂટેજના આધારે ચોરીની સમગ્ર કડી જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર વારંવાર ચોરી કરતો હોવાનો દાવો
આ સમગ્ર કેસમાં મુખ્ય આરોપી તરીકે સામે આવેલા ચિરાગ ઠાકોર અંગે હવે નવા આક્ષેપો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ CCTVમાં તે વારંવાર ભંડારમાંથી નાણાં કાઢતો હોવાનું જોવા મળતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો તપાસમાં આ બાબતની પુષ્ટિ થશે તો એકથી વધુ વખત ચોરી કરવામાં આવી હોવાનો ગુનો વધુ ગંભીર બની શકે છે.
એક વર્ષના CCTVની તપાસ થાય તો લાખોની ચોરીનો ભેદ ઉકેલાઈ શકે તેવી ચર્ચા
સ્થાનિક સ્તરે એવી પણ માંગ ઉઠી રહી છે કે મંદિરના છેલ્લા એક વર્ષના તમામ CCTV ફૂટેજની ફોરેન્સિક તપાસ કરવામાં આવે. જો તમામ રેકોર્ડિંગની વિગતવાર તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાની સંભવિત ચોરીનો ભેદ ઉકેલાઈ શકે તેવી ચર્ચા ચાલી રહી છે. જોકે આ અંગે તપાસ એજન્સીઓ અથવા મંદિર ટ્રસ્ટ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
જામીન પર મુક્ત આરોપીઓ સામે ફરી કડક કાર્યવાહી કરવાની માંગ
આ કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપીઓ હાલમાં જામીન પર મુક્ત હોવાનું જાણવા મળે છે. હવે સતત બે મહિનાના CCTV સામે આવતા સ્થાનિકોમાં ફરી રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આરોપીઓ વારંવાર ચોરી કરતા હતા તો તેમને મળેલી સજા અથવા જામીન પૂરતા હતા કે નહીં. અનેક ભક્તો અને સ્થાનિકો સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ કરીને દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: જેતપુર ખેડૂત આંદોલનમાં વાણી વિલાસ પડ્યો ભારે? : રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈના સ્ટોન ક્રશર પર ખાણ-ખનીજ વિભાગની ટીમ ત્રાટકી, ઘટનાએ પકડ્યો રાજકીય રંગ
તપાસ પૂર્ણ થયા બાદ જ થશે અંતિમ સત્ય બહાર
હાલ સામે આવેલા CCTV ફૂટેજ તપાસનો મહત્વનો ભાગ બની શકે છે, પરંતુ તેમાં દેખાતા દૃશ્યો અંગેની અંતિમ સત્તાવાર પુષ્ટિ તપાસ એજન્સીઓ દ્વારા થવાની બાકી છે. પોલીસ અને સંબંધિત વિભાગોની તપાસ પૂર્ણ થયા બાદ જ ચોરીનો સંપૂર્ણ વ્યાપ, જવાબદાર વ્યક્તિઓ અને નુકસાનની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થશે.






