Padaliya Chaitar Vasava : પાડલીયા ગામમાંથી આદિવાસી નેતા ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપો સાથે હુંકાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, 'ગામમાં થયેલા હુમલા પાછળ કોઈ નાના માણસો નથી, પરંતુ સરકારના મંત્રી-તંત્રીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની સીધી ભૂમિકા છે'. ચૈતર વસાવાના જણાવ્યા મુજબ 'જ્યારે ગામના લોકોએ પોતાની સમસ્યાઓ અંગે રજુઆત કરી, ત્યારે કેટલાક પોલીસ કર્મચારીઓએ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ગામના આગેવાનોને પકડી લીધા. આગેવાનોને છોડાવવા ગામ લોકો પ્રયાસ કરતા હતા ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો'.
'ગામના લોકોને દોડાવી દોડાવીને માર માર્યો'
તેમણે વધુમાં કહ્યું કે પોલીસએ ગામના લોકોને દોડાવી દોડાવીને માર માર્યો, જેમાં અંદાજે 35 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાક્રમ દરમિયાન પોલીસ દ્વારા લગભગ 27 ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા, જે કોના આદેશથી છોડવામાં આવ્યા તે પ્રશ્ન તેમણે ઉઠાવ્યો. એટલું જ નહીં, 50થી વધુ રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું, જેનાથી લોકોમાં ભય ફેલાયો. આ તમામ ઘટનાઓ બાદ આદિવાસી લોકોએ સ્વ-બચાવ માટે સામસામે પથ્થરમારો કર્યો હોવાનું પણ તેમણે જણાવ્યું.
'FIR કરવી હોય તો બંને પક્ષે થવી જોઈએ'
ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે, 'ઘટનાના બાદમાં કોઈ મંત્રી, કલેક્ટર કે જવાબદાર અધિકારી ઈજાગ્રસ્તોને જોવા દવાખાને આવ્યા નથી. એકતરફી રીતે ગામના લોકો સામે કાર્યવાહી કરવાની વાત થઈ રહી છે', તેમણે સ્પષ્ટ કહ્યું કે, 'FIR કરવી હોય તો બંને પક્ષે થવી જોઈએ. જેમના આદેશથી હિંસા થઈ છે એવા ફોરેસ્ટ અને પોલીસ અધિકારીઓ સામે પણ પોલીસ ફરિયાદ થવી જોઈએ તેવી તેમણે માંગ કરી.
'માનવ અધિકાર આયોગ અને યુનોની કોર્ટમાં જવા પણ તૈયાર છીએ'
તેમણે કહ્યું કે, 'અમારી સામે કરવામાં આવેલી FIR ખોટી છે, અમને ઉશ્કેરવાનું કામ કરી આ FIR નોંધવામાં આવી છે અને તે રદ થવી જોઈએ. જો FIR રદ નહીં થાય અને અમારા લોકોને હેરાન કરવામાં આવશે તો અંબાજીથી ઉમરગામ સુધીના લોકો ભેગા થઈ કચેરીઓ પર જઈ ગાંધીનગરનો રસ્તો પકડીશું એવી ચેતવણી પણ તેમણે આપી. અંતમાં ચૈતર વસાવાએ જણાવ્યું કે અમારા લોકોને ચંચેડવામાં ન આવે એવી અમારી લાગણી છે. આ સમગ્ર હિંસા એસપીના ઇશારે થઈ હોવાનું કહી તેમણે ન્યાય નહીં મળે તો માનવ અધિકાર આયોગ અને યુનોની કોર્ટમાં જવા પણ તૈયાર હોવાની સ્પષ્ટતા કરી છે.





















