રાજકોટના યુવકની અડગ શ્રદ્ધા: અક્ષય કુમારને મળવા 18 દિવસની પદયાત્રા અને 1 મહિનાનો લાંબો ઈન્તજાર
રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં રહેતા 35 વર્ષીય અશોક કંજારીયા બોલિવૂડ એક્ટર અક્ષય કુમારના ખૂબ મોટા પ્રશંસક છે. અશોકભાઈ પોતાના ફેવરિટ એક્ટરને મળવા માટે 17 February 2026 ના રોજ રાજકોટથી ખુલ્લા પગે પદયાત્રા પર નીકળ્યા હતા. હાથમાં તિરંગો અને મનમાં અક્ષય કુમારને મળવાનો અતૂટ સંકલ્પ લઈને તેઓ 18 દિવસમાં 700 km નું અંતર કાપી 6 March 2026 ના રોજ મુંબઈ પહોંચ્યા હતા.
એક મહિના સુધી ફૂટપાથ પર ગુજારી રાતો
મુંબઈ પહોંચ્યા બાદ પણ મુલાકાત સરળ નહોતી. અશોકભાઈ લગભગ 1 મહિના સુધી મુંબઈના જુહુ વિસ્તારમાં અક્ષય કુમારના બંગલાની બહાર રાહ જોઈને બેસી રહ્યા. આ દરમિયાન તેઓ ફૂટપાથ અને રેલવે સ્ટેશન પર સૂતા હતા. પત્ની અને 2 બાળકો હોવા છતાં, અક્ષય કુમારને મળવાની જિદ્દ પર તેઓ અડગ રહ્યા. આ સંઘર્ષ દરમિયાન તેમના આશરે 14,000 રૂપિયાનો ખર્ચ પણ થયો હતો.
અંતે 'ખિલાડી' કુમારે આપ્યો આદેશ
સોશિયલ મીડિયા અને સુરક્ષાકર્મીઓ દ્વારા જ્યારે અક્ષય કુમારને આ ફેન વિશે જાણ થઈ, ત્યારે તેમણે તાત્કાલિક પોતાની ટીમને અશોકને બોલાવવા માટે સૂચના આપી. 8 April 2026 ના રોજ સવારે 8:30 વાગ્યે અક્ષય કુમારે અશોક કંજારીયા સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન અક્ષય કુમારે અશોકને 'ખુશ રહે બેટા' કહીને આશીર્વાદ આપ્યા અને તેમની સાથે ફોટો પણ પડાવ્યો હતો. જોકે, અક્ષય કુમારે તેમને આ રીતે જોખમી રીતે પદયાત્રા ન કરવાની સલાહ આપી હતી અને જણાવ્યું હતું કે યુવાનોએ આટલી મહેનત પોતાના કરિયર અને લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે કરવી જોઈએ. અક્ષય કુમારને મળ્યા બાદ અશોકભાઈએ ફરી પગરખાં પહેરવાનો નિર્ણય લીધો છે.





