અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ઉડ્ડયન મંત્રી (Aviation Minister) રામ મોહન નાયડુ અને ઉડ્ડયન મંત્રાલયના સચિવ સમર કુમાર સિંહા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
ઉડ્ડયન નાગરીક મંત્રી રામ મોહન નાયડુએ પ્રતિક્રિયા આપતા કહ્યું, અમદાવાદ એરપોર્ટ પર બનેલી ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. આ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદના છે. મંત્રીએ વધુમાં કહ્યું મેં મારા પિતાને એક માર્ગ અકસ્માતમાં ગુમાવ્યા છે, તેથી હું મૃતક પરીવારના લોકોની પીડા સમજી શકું છું.પ્લેન ક્રેશ થતાં પહેલા પાઈલટે ઈમરજન્સી સ્થિતિની જાણકારી આપી હતી. ATC તરફથી મેસેજનો કોઈ જવાબ મળ્યો ન હોતો. ઉડ્ડયન મંત્રીના જણાવ્યાનુસાર વિમાને 1:39 વાગ્યે ઉડાન ભરી હતી અને 1:40 વાગ્યે વિમાન ક્રેશ થઇ ગયું હતું. એરપોર્ટથી ઉડાન ભર્યા બાદ વિમાન બે કિ.મી. દૂર તૂટી પડ્યું હતું.
ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે ગૃહ સચિવના નેતૃત્વમાં એક કમિટીની રચના કરવામાં આવી છે. આ હાઈ લેવલની કમિટી ત્રણ મહિનામાં તેનો રિપોર્ટ સોંપશે. તપાસ સમિતિમાં ડીજીસીએ અને આઈબીના અધિકારીઓને પણ સામેલ કરાયા છે. ગઈકાલે સાંજે પાંચ વાગ્યે બ્લેક બોક્સ પણ મળી આવ્યું હતું જેના પરથી વિમાન દુર્ઘટના પહેલા છેલ્લી ઘડીએ શું થયું હતું તે જાણી શકાશે.
સચિવ સમર કુમાર સિંહાએ જણાવ્યું હતું કે, એર ઇન્ડિયાનું આ વિમાન ૧૨ જૂને બપોરે ૧.૩૯ વાગ્યે અમદાવાદથી ઉડાન ભર્યું હતું અને થોડી જ સેકન્ડોમાં ૬૫૦ ફૂટની ઊંચાઈએ પહોંચ્યા પછી, વિમાન નિચે આવવા લાગ્યું હતું. આ વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો, બે પાઇલટ અને 10 ક્રૂ સભ્યો હતા. ૧:૩૯ વાગ્યે પાયલોટે અમદાવાદ એટીસીને MAYDAY એટલે કે સંપૂર્ણ કટોકટી વિશે જાણ કરી હતી. જ્યારે ATC એ વિમાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે કોઈ જવાબ મળ્યો નહીં. ત્યારબાદ એક મિનિટ પછી, વિમાન મેઘાણીનીગર ખાતે ક્રેશ થયું હતું.






