Sukhoi Crash: ભારતીય વાયુસેનાના સૌથી શક્તિશાળી ગણાતા સુખોઈ ફાઈટર જેટને આસામમાં નડાયેલા અકસ્માતમાં દેશે બે જાંબાઝ અધિકારીઓ ગુમાવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ દુર્ઘટનામાં સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઈટ લેફ્ટનન્ટ પૂર્વેશ દુરાગકર શહીદ થયા છે. વાયુસેનાએ શુક્રવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક ભાવુક પોસ્ટ દ્વારા બંને પાઈલટોના નિધનની પુષ્ટિ કરી હતી. આ વિમાન ગુરુવારે સાંજે નિયમિત ટ્રેનિંગ મિશન પર હતું ત્યારે જોરહાટથી આશરે 60 કિમી દૂર રડાર પરથી ગાયબ થઈ ગયું હતું.
દુર્ઘટના બાદ વાયુસેના દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મોડી રાત્રે વિમાનનો કાટમાળ મળી આવ્યા બાદ સર્ચ ટીમે પાઈલટોની ભાળ મેળવી હતી, પરંતુ કમનસીબે બંનેને બચાવી શકાયા નહોતા. વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું છે કે, અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે 'કોર્ટ ઓફ ઈન્ક્વાયરી' ના આદેશ આપવામાં આવ્યા છે. આ ઘટનાથી સમગ્ર વાયુસેના બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો
કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે આ દુખદ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કરતા શહીદ પાઈલટોને શ્રદ્ધાંજલિ અર્પી છે. તેમણે જણાવ્યું હતું કે, "આસામમાં સુખોઈ-30 MKI ફાઈટર જેટની દુર્ઘટનામાં સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઈટ લેફ્ટનન્ટ પૂર્વેશના નિધનના સમાચાર અત્યંત પીડાદાયક છે. રાષ્ટ્રની સેવા કરતા આ જાંબાઝ અધિકારીઓએ આપેલું બલિદાન હંમેશા યાદ રાખવામાં આવશે." રાજનાથ સિંહે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા ઉમેર્યું કે, સંરક્ષણ મંત્રાલય આ મુશ્કેલ સમયમાં શહીદોના પરિવારોની સાથે મક્કમતાથી ઉભું છે અને વાયુસેનાને અકસ્માતની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.
ગુરુવાર સાંજથી ગુમ હતું વિમાન
વાયુસેનાના જણાવ્યા અનુસાર, સુખોઈ Su-30MKI એ આસામના એરબેઝ પરથી રૂટિન મિશન માટે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાના થોડા સમય બાદ જ તેનો ગ્રાઉન્ડ કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જે વિસ્તારમાં વિમાન ક્રેશ થયું છે તે પહાડી અને ગાઢ જંગલો ધરાવતો હોવાથી સર્ચ ઓપરેશનમાં શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ પડી હતી.
સુખોઈ: IAF ની શક્તિ અને અદ્યતન ટેકનોલોજી
સુખોઈ Su-30MKI ને ભારતીય વાયુસેનાનું 'વર્કહોર્સ' માનવામાં આવે છે. તે 4.5 જનરેશનનું ડ્યુઅલ એન્જિન ધરાવતું મલ્ટીરોલ ફાઈટર જેટ છે. તે લાંબા અંતરની સ્ટ્રાઈક કરવા અને હવામાંથી હવામાં તથા હવામાંથી જમીન પર હુમલો કરવા માટે સક્ષમ છે. જોકે, આવી ટેકનોલોજી હોવા છતાં સર્જાયેલી દુર્ઘટના તપાસનો વિષય બની છે.
છેલ્લા 12 વર્ષમાં સુખોઈ સાથે જોડાયેલી મોટી દુર્ઘટનાઓ
સુખોઈ Su-30MKI ફાઈટર જેટ અગાઉ પણ અનેકવાર અકસ્માતનો ભોગ બન્યું છે. છેલ્લા કેટલાક વર્ષોના મુખ્ય અકસ્માતોની યાદી નીચે મુજબ છે:
ક્રમ | તારીખ | સ્થળ | ઘટનાની વિગત | પરિણામ/પાઈલટની સ્થિતિ |
1 | 04 જૂન 2024 | નાસિક, મહારાષ્ટ્ર | ટ્રેનિંગ ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા વિમાન ખેતરમાં ખાબક્યું. | બંને પાઈલટ સુરક્ષિત (ઇજેક્ટ કરી લીધું) |
2 | 28 જાન્યુઆરી 2023 | ગ્વાલિયર, મધ્યપ્રદેશ | ટ્રેનિંગ મિશન દરમિયાન SU-30MKI અને Mirage-2000 હવામાં ટકરાયા. | SU-30ના પાઈલટ સુરક્ષિત, મિરાજ-2000ના પાઈલટનું મોત |
3 | 08 ઓગસ્ટ 2019 | તેજપુર, આસામ | ઉડાન ભર્યાના થોડા સમય બાદ ટેકનિકલ સમસ્યા સર્જાઈ. | બંને પાઈલટ સુરક્ષિત |
4 | 27 જૂન 2018 | નાસિક, મહારાષ્ટ્ર | HAL ના ટેસ્ટ પાઈલટ દ્વારા કરવામાં આવતી ટેસ્ટ ઉડાન દરમિયાન ક્રેશ. | બંને પાઈલટ સુરક્ષિત |
5 | 23 મે 2017 | અરુણાચલ પ્રદેશ | તેજપુર એરબેઝથી ઉડાન બાદ સંપર્ક તૂટ્યો, પહાડી વિસ્તારમાં કાટમાળ મળ્યો. | બંને પાઈલટના મોત |
6 | 15 માર્ચ 2017 | બાડમેર, રાજસ્થાન | ટ્રેનિંગ મિશન દરમિયાન વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. | પાઈલટ સુરક્ષિત, જમીન પર 3 લોકો ઘાયલ |
7 | 19 મે 2015 | તેજપુર, આસામ | ટેકનિકલ ખામીને કારણે ઉડાન ભર્યાના થોડા સમયમાં જ ક્રેશ. | બંને પાઈલટ સુરક્ષિત |
8 | 14 ઓક્ટોબર 2014 | પુણે, મહારાષ્ટ્ર | ટ્રેનિંગ ઉડાન દરમિયાન વિમાન અકસ્માતનો ભોગ બન્યું. | બંને પાઈલટ સુરક્ષિત |
વાયુસેનાએ વ્યક્ત કરી સંવેદના
ભારતીય વાયુસેનાએ શહીદ પાઈલટોના બલિદાનને નમન કરતા જણાવ્યું છે કે, "IAF આ દુખદ અકસ્માતમાં સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઈટ લેફ્ટનન્ટ પૂર્વેશના નિધન પર શોક વ્યક્ત કરે છે. અમે શહીદોના પરિવારોની સાથે મક્કમતાથી ઉભા છીએ."




















