અમદાવાદમાં બનેલી ભયાનક વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ આ દુર્ઘટનાએ અનેક પરિવારોના જીવનમાં જે ખાલીપો સર્જ્યો હતો તે આજે પણ ભરાઈ શક્યો નથી. આવી જ એક કરૂણ કહાની છે વડોદરાની હેતલ પ્રજાપતિની, જેમણે પ્રેમલગ્નના માત્ર ત્રણ મહિનામાં પોતાના જીવનસાથી મહેશ કાલાવાડિયાને ગુમાવી દીધા હતા. દુર્ઘટના બાદ મળેલા વળતરથી જીવન સરળ બનવાને બદલે વધુ મુશ્કેલ બની ગયું હોવાનું હેતલનું કહેવું છે.
એક વર્ષ બાદ પણ હેતલ માટે દરેક દિવસ દુઃખ, સંઘર્ષ અને ન્યાયની રાહ જોવાનો દિવસ બની રહ્યો છે. પતિના વિયોગનો આઘાત હજુ ઓછો થયો નથી, ત્યાં પરિવારિક સંબંધોમાં આવેલા તિરાડોએ તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે.
સોશિયલ મીડિયા પર શરૂ થયેલી પ્રેમકહાનીનો દુઃખદ અંત
હેતલ અને મહેશની ઓળખ સોશિયલ મીડિયા મારફતે થઈ હતી. સમય જતાં બંને વચ્ચે મિત્રતા પ્રેમમાં પરિણમી અને અંતે બંનેએ સમાજની પરવા કર્યા વગર પ્રેમલગ્ન કરવાનો નિર્ણય લીધો. લગ્ન બાદ બંનેએ સુખી દામ્પત્ય જીવનના અનેક સપના જોયા હતા.
પરંતુ લગ્નના માત્ર ત્રણ મહિનામાં જ એક દુર્ઘટનાએ બધું બદલાવી નાખ્યું. મહેશ પોતાના એક્ટિવા પર ઘોડસર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વિમાન દુર્ઘટનાના કારણે તૂટેલી પાંખ તેમના પર પડતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. દુર્ઘટનાની ગંભીરતા એટલી હતી કે પરિવારને મૃતદેહની ઓળખ કરવામાં પણ ભારે મુશ્કેલી પડી હતી. આખરે ડીએનએ પરીક્ષણ બાદ નવ દિવસ પછી મહેશની ઓળખ શક્ય બની હતી.
વળતર મળ્યું, પરંતુ સંબંધો તૂટી ગયા
દુર્ઘટના બાદ સરકાર અને સંબંધિત કંપની તરફથી કુલ રૂ. 1.25 કરોડનું વળતર આપવામાં આવ્યું હતું. હેતલના જણાવ્યા મુજબ તેમણે પોતાના સાસુ-સસરાને માતા-પિતા સમજીને વળતરની રકમમાંથી આશરે રૂ. 60 લાખ આપ્યા હતા.
પરંતુ સમય જતાં પરિસ્થિતિ બદલાતી ગઈ. હેતલનો આરોપ છે કે પ્રેમલગ્નને લઈને પહેલેથી જ અસંતોષ ધરાવતા સાસરી પક્ષે બાદમાં તેમની સાથે અંતર વધાર્યું. વળતરની રકમ મળ્યા પછી ઘરેલું વિવાદો વધ્યા અને અંતે સંબંધોમાં તિરાડ પડી ગઈ. હેતલ કહે છે કે રૂપિયા જીવનને સરળ બનાવી શકે છે પરંતુ જીવનસાથીની ખોટ ક્યારેય પૂરી કરી શકતા નથી. તેમના માટે સૌથી મોટી ખોટ મહેશની છે, જે કોઈ પણ વળતરથી પૂરી થઈ શકે તેમ નથી.
આ પણ વાંચો: હજુ વરસાદ માટે ક્યાં સુધી જોવી પડશે રાહ? : જાણો અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાના આગમનની આપી કઇ તારીખ
નોકરીનું વચન હજુ અધૂરું
દુર્ઘટના બાદ પીડિત પરિવારોને વિવિધ પ્રકારની સહાય અને પુનર્વસન માટેની ખાતરીઓ આપવામાં આવી હતી. હેતલનો દાવો છે કે તેમને સરકારી નોકરી આપવાનું વચન પણ આપવામાં આવ્યું હતું, પરંતુ એક વર્ષ બાદ પણ તે વચન પૂર્ણ થયું નથી. તેમના કહેવા મુજબ અનેક રજૂઆતો અને પ્રયાસો છતાં હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેના કારણે તેઓ આર્થિક અને માનસિક બંને રીતે સંઘર્ષનો સામનો કરી રહ્યા છે.
દુર્ઘટનાનું સાચું કારણ જાહેર કરવાની માંગ
હેતલ પ્રજાપતિની એક મોટી માંગ એ પણ છે કે વિમાન દુર્ઘટનાનું વાસ્તવિક કારણ જાહેર કરવામાં આવે. તેમના મતે, દુર્ઘટના પાછળ કોઈ તકનીકી ખામી, માનવીય ભૂલ કે અન્ય કારણ જવાબદાર હતું કે નહીં, તે અંગે સંપૂર્ણ સત્ય લોકો સમક્ષ આવવું જોઈએ.
તેઓએ દુર્ઘટનાની નિષ્પક્ષ તપાસ અને વિમાનના બ્લેક બોક્સમાંથી પ્રાપ્ત માહિતી જાહેર કરવાની માંગ કરી છે. તેમના મતે, જો જવાબદારી નક્કી થશે તો ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે જરૂરી પગલાં લઈ શકાશે.
એક વર્ષ બાદ પણ ચાલુ છે સંઘર્ષ
આ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં હેતલ માટે સમય જાણે થંભી ગયો હોય તેવી સ્થિતિ છે. એક તરફ પતિને ગુમાવ્યાનું અસહ્ય દુઃખ છે, તો બીજી તરફ નોકરી, ન્યાય અને પોતાના અધિકારો માટેની લડાઈ છે.
હેતલની કહાની માત્ર એક વ્યક્તિની વ્યથા નથી, પરંતુ એવી અનેક મહિલાઓનું પ્રતિબિંબ છે જે અચાનક બનેલી દુર્ઘટનાઓ બાદ જીવનને ફરીથી ગોઠવવાનો પ્રયાસ કરે છે. આજે પણ તેઓ આશા રાખી રહ્યા છે કે એક દિવસ તેમને ન્યાય મળશે, સરકાર દ્વારા આપવામાં આવેલા વચનો પૂર્ણ થશે અને તેમના પતિના મૃત્યુ પાછળનું સત્ય દેશ સમક્ષ આવશે.





