Passport Update: જો તમે અમદાવાદ અથવા તેની આસપાસના વિસ્તારમાં પાસપોર્ટ માટે એપોઇન્ટમેન્ટ બુક કરાવી છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કેન્દ્ર સરકારે ઈદ-ઉલ-ઝુહા (બકરી ઈદ) નિમિત્તે જાહેર રજાની તારીખમાં ફેરફાર કર્યા બાદ હવે પાસપોર્ટ સેવાઓના સમયપત્રકમાં પણ મહત્વપૂર્ણ બદલાવ જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે અનેક અરજદારોની અગાઉથી નક્કી કરાયેલી એપોઇન્ટમેન્ટ હવે નવા દિવસે ખસેડવામાં આવી છે. અમદાવાદ સ્થિત ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલય (RPO) તેમજ તેની હેઠળ કાર્યરત તમામ પાસપોર્ટ સેવા કેન્દ્રો (PSK) અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો (POPSK) માટે નવી સૂચના જાહેર કરવામાં આવી છે. આ બદલાવને કારણે જે અરજદારોને 28 મે, 2026ના રોજ હાજર રહેવાનું હતું, તેઓએ હવે એક દિવસ વહેલા, એટલે કે 27 મેના રોજ જ પોતાના નક્કી કરાયેલા સમયે પહોંચવાનું રહેશે.
જાહેર રજાની તારીખમાં થયો ફેરફાર
કેન્દ્ર સરકાર દ્વારા ઈદ-ઉલ-ઝુહાની જાહેર રજાની તારીખમાં સુધારો કરવામાં આવ્યો છે. અગાઉ 27 મેના રોજ જાહેર કરાયેલી રજા હવે 28 મે, 2026ના રોજ રહેશે. આ નિર્ણય બાદ પાસપોર્ટ વિભાગે પણ તાત્કાલિક અસરથી પોતાના કાર્ય સમયપત્રકમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ હવે 28 મેના રોજ અમદાવાદ RPO સહિત તમામ પાસપોર્ટ કચેરીઓ બંધ રહેશે, જ્યારે 27 મેના રોજ તમામ કચેરીઓ નિયમિત રીતે કાર્યરત રહેશે અને અરજદારોને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
28 મેની એપોઇન્ટમેન્ટ હવે 27 મે માટે રી-શેડ્યૂલ
પાસપોર્ટ વિભાગે અરજદારોને અગવડતા ન પડે તે માટે ઝડપી નિર્ણય લઈને 28 મેના રોજ બુક કરાયેલી તમામ એપોઇન્ટમેન્ટને આપમેળે 27 મે, 2026ના રોજ ફરીથી નિર્ધારિત (Re-Schedule) કરી છે. ખાસ નોંધનીય બાબત એ છે કે, એપોઇન્ટમેન્ટના સમયગાળામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે, અગાઉ જે સમયે એપોઇન્ટમેન્ટ બુક હતી, એ જ સમયે હવે એક દિવસ વહેલા હાજર રહેવાનું રહેશે.
આ પણ વાંચો: ટ્રેનમાં ભૂલથી પણ ન કરો આ 6 કામ!: રેલવેના કડક નિયમોનું ઉલ્લંઘન પડશે મોંઘું, જાણો નિયમો
SMS અને ઈ-મેઇલથી અરજદારોને અપાશે જાણ
આ બદલાવ અંગે અસરગ્રસ્ત તમામ અરજદારોને તેમના નોંધાયેલા મોબાઈલ નંબર પર SMS તેમજ રજિસ્ટર્ડ ઈ-મેઇલ આઈડી પર સૂચના મોકલવામાં આવી રહી છે. જેથી અરજદારો સમયસર નવી તારીખ વિશે જાણકારી મેળવી શકે અને કોઈપણ પ્રકારની ગેરસમજ અથવા અસુવિધાથી બચી શકે. પાસપોર્ટ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, અરજદારોએ પોતાની અપડેટ થયેલી એપોઇન્ટમેન્ટ સ્લિપ પણ ચકાસવી જરૂરી રહેશે.
પાસપોર્ટ કાર્યાલયે અરજદારોને શું અપીલ કરી?
અમદાવાદ ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલયે અરજદારોને ખાસ અપીલ કરી છે કે, જેમની એપોઇન્ટમેન્ટ અગાઉ 28 મેના રોજ નક્કી કરવામાં આવી હતી, તેઓ હવે 27 મેના રોજ પોતાના નક્કી કરાયેલા સમય મુજબ સંબંધિત પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK), પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર (POPSK) અથવા RPO કચેરીમાં જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, કોઈપણ અપડેટ અથવા સુધારેલી એપોઇન્ટમેન્ટ સ્લિપ માટે અરજદારો સત્તાવાર પાસપોર્ટ સેવા પોર્ટલની મુલાકાત લઈ શકે છે, જેથી અંતિમ ક્ષણે કોઈ મુશ્કેલી ન સર્જાય.
આ પણ વાંચો: આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જૂની mAadhaar એપ થશે બંધ, નવી એપથી ઘરે બેઠા બદલી શકાશે મોબાઈલ નંબર





