અમદાવાદના પાલડી વિસ્તારમાં AMTS બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. સદનસીબે ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે તમામ મુસાફરોને સમયસર બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હોવાથી કોઈ જાનહાની થઈ નથી. આ ઘટના અમદાવાદના પાલડીમાં મહાલક્ષ્મી ચાર રસ્તા નજીક આવેલા જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ પાસે બની હતી.
એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળ્યો
માહિતી મુજબ અમદાવાદ મયુસીપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ની રૂટ નંબર 35 ની બસ લાલ દરવાજા, અમદાવાદથી બાળવા તરફ જઈ રહી હતી. બસ પાલડીના જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ પર મુસાફરોને લેવા ઊભી રાખવામાં આવી હતી. તે સમયે બસના એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડ્રાઈવર અને કંડક્ટરે તરત જ તમામ મુસાફરોને બસમાંથી નીચે ઉતારી દીધા.
ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
ડ્રાઈવરે ઇગ્નિશન સ્વીચ અને મેઈન સ્વીચ બંધ કર્યા છતાં એન્જિનમાં આગ લાગી ગઈ હતી. શરૂઆતમાં બસમાં રહેલા તેમજ પાછળ આવતી બસોમાંથી લાવવામાં આવેલા ફાયર એક્ષ્ટીંગ્યુશરથી આગ બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને બુજાવી દીધી હતી. બસમાં આગળનો શો, એન્જિન, રૂફ સિલીંગ તેમજ આગળની 4 સીટો સળગી ગઈ હતી. બસમાં એન્જિનમાં આગ લાગવાની ઘટના બની હતી. એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા.





















