શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ-મણીનગર, અમદાવાદના વિદ્વાન સંતો હાલમાં વિદેશ પ્રવાસના ભાગરૂપે કેનેડાના વિચરણ પર છે. આ વિચરણ દરમિયાન તેમણે ટોરોન્ટો શહેરના સુંદર સેન્ટ્રલ આઇસલેન્ડની મુલાકાત લીધી હતી, જ્યાં ભક્તિમય વાતાવરણમાં વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
આ અવસરે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો નૌકાવિહાર પણ આયોજિત થયો હતો. નૌકામાં ભગવાનને બિરાજમાન કરીને ભક્તોએ ભજન, ધૂન અને પ્રાર્થનાનો અનોખો અનુભવ કર્યો હતો. સંતો દ્વારા પરંપરાગત સંગીત અને ભક્તિના સૂરો સાથે વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું.
સાંજના સમયે આઇસલેન્ડના સુંદર બગીચામાં શ્રી હરિકૃષ્ણ મહારાજને બિરાજમાન કરીને સંધ્યા આરતી, નિત્ય નિયમો અને માનસી પૂજાનું આયોજન કરવામાં આવ્યું. સંતો અને ભક્તોએ ધ્યાન સાધનાના માધ્યમથી આંતરિક શાંતિનો અનુભવો કર્યો.
માનસિક શાંતિ માટે ભક્તિનું મહત્વ: પ્રેમવત્સલદાસજી સ્વામીનો સંદેશ
કુમકુમ મંદિરના પ્રમુખ સંત પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું કે આધુનિક જીવનની દોડધામ અને તણાવભર્યા માહોલમાં ભગવાનની ભક્તિ અને ઉપાસના જીવનમાં સુખ અને શાંતિ લાવે છે.
તેમણે સમજાવ્યું કે ભગવાનના ધ્યાન દ્વારા માનસિક તણાવ દૂર થાય છે અને દિવ્ય શાંતિની અનુભૂતિ થાય છે. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન અને મંત્રજાપ દ્વારા મન સ્થિર બને છે, અને માનસિક કલ્પનાઓ અને ઉથલપાથલ રોકાય છે. તેઓએ ભક્તોને દરરોજ મહામંત્રની માળા ફેરવવા અને ભગવાન સાથે આત્મિક જોડાણ મજબૂત બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા.





















