Ahmedabad Zero Tolerance Road: અમદાવાદ શહેરમાં સતત વધતા વાહનવ્યવહાર અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના સૌથી વ્યસ્ત માર્ગોમાં ગણાતા સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલા ઈસ્કોન ચાર રસ્તાથી કે.ડી. હોસ્પિટલ સુધીના માર્ગને હવે સત્તાવાર રીતે ‘ઝીરો ટોલરન્સ માર્ગ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુચારુ બનાવવાનો તેમજ માર્ગ પરના દબાણો અને નિયમભંગની સમસ્યાઓને કડકાઈથી નિયંત્રિત કરવાનો છે. આ માર્ગ પર રોજ હજારો વાહનોની અવરજવર રહે છે. ઉપરાંત વ્યાપારી સંસ્થાઓ, હોસ્પિટલો, ઓફિસો અને રહેણાંક વિસ્તારો હોવાના કારણે અહીં ટ્રાફિકનું ભારણ સતત વધી રહ્યું છે. ઘણી વખત ગેરકાયદે દબાણો, નો-પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક થવા અને નિયમોના ઉલ્લંઘનને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી રહે છે. હવે તંત્ર દ્વારા આ સમસ્યાઓને દૂર કરવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
AMC અને ટ્રાફિક પોલીસની સંયુક્ત સમીક્ષા
ઝીરો ટોલરન્સ ઝોન જાહેર કર્યા બાદ ટ્રાફિક પોલીસ અને AMCના ઉચ્ચ અધિકારીઓએ સંયુક્ત રીતે માર્ગની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક), નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક-પશ્ચિમ), મદદનીશ પોલીસ કમિશનર (ટ્રાફિક-એ વિભાગ) તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ ઈસ્કોન ચાર રસ્તા, પકવાન ચાર રસ્તા, ગુરુદ્વારા વિસ્તાર અને થલતેજ ચાર રસ્તા સહિતના મહત્વના જંક્શનોની મુલાકાત લઈને ટ્રાફિક વ્યવસ્થા, વાહનોની અવરજવર અને નિયમભંગની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ વિસ્તારોમાં ટ્રાફિકને અસર કરતા મુદ્દાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
ગેરકાયદે દબાણ અને નો-પાર્કિંગ સામે કડક વલણ
તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઝીરો ટોલરન્સ ઝોન હેઠળ માર્ગ પર કોઈપણ પ્રકારના ગેરકાયદે દબાણને સહન કરવામાં આવશે નહીં. રોડ, ફૂટપાથ અથવા જાહેર જગ્યાઓ પર થયેલા દબાણો સામે નિયમિત કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત નો-પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરનારાઓ સામે પણ કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. ટ્રાફિકને અવરોધરૂપ બનતા વાહનોને ટોઇંગ કરીને દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.
નિયમોનું પાલન નહીં કરનારાઓ સામે દંડ
ટ્રાફિક વિભાગના જણાવ્યા અનુસાર, આ માર્ગ પર હવે ટ્રાફિક નિયમોનું કડક અમલીકરણ કરવામાં આવશે. રેડ સિગ્નલ જમ્પ કરવું, ખોટી દિશામાં વાહન ચલાવવું, ગેરકાયદે પાર્કિંગ કરવું અથવા અન્ય કોઈ પણ પ્રકારનો નિયમભંગ કરનાર વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે આ અભિયાનનો હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ શહેરમાં વધુ સુરક્ષિત અને સરળ ટ્રાફિક વ્યવસ્થા ઉભી કરવાનો છે.
વાહનચાલકોને નિયમોનું પાલન કરવા અપીલ
તંત્ર દ્વારા નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને જાહેર માર્ગો પર અનાવશ્યક અવરોધો ઊભા ન કરવા અપીલ કરવામાં આવી છે. અધિકારીઓનું માનવું છે કે નાગરિકોના સહકાર વિના ટ્રાફિક વ્યવસ્થામાં લાંબા ગાળાનો સુધારો શક્ય નથી. ઈસ્કોનથી કે.ડી. હોસ્પિટલ સુધીનો આ માર્ગ હવે શહેર માટે ટ્રાફિક શિસ્તનું મોડેલ બની શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ ઝીરો ટોલરન્સ મોડલને શહેરના અન્ય મહત્વના માર્ગો પર પણ લાગુ કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.





