કાંકરિયા કાર્નિવલ બાદ અમદાવાદીઓ માટે સૌથી મોટું નજરાણું છે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાતો ફ્લાવર શો..જેમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. પરંતુ હવે આ વખતે ફ્લાવર શોની મજા માણવી મોંઘી પડી શકે છે. કેમ કે ફ્લાવર શોની ટિકિટમાં મોંઘવારી માર જોવા મળી રહ્યો છે.
ફ્લાવર શોની ટિકિટમાં વધારો 2025ના ફ્લાવર શોની મજા માણવી લોકોને થોડી મોંઘી પડશે.અમદાવાદ મહાનગરપાલિકાએ ફ્લાવર શોની ટિકિટના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.આ વર્ષે ફ્લાવર શોમાં સોમવારથી શુક્રવાર સુધી ટિકિટના ભાવ 70 રૂપિયા અને શનિવાર અને રવિવાર માટે 100 રૂપિયા રાખવામાં આવ્યા છે. ગત વર્ષે સોમવારથી શુક્રવાર માટે ટિકિટના ભાવ 50 અને શનિ-રવિવાર માટે 75 રૂપિયા હતા.. ક્યારથી શરૂ થશે ફ્લાવર શો? કાંકરિયા કાર્નિવલ બાદ લોકો માટે ફ્લાવર શો આકર્ષણનું કેન્દ્ર બનશે. 1 જાન્યુઆરી 2025થી 14 જાન્યુઆરી 2025 સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શો સવારે 9:00 વાગ્યાથી રાતના 11:00 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.જેમાં નક્કી કરાયેલા દરે ટિકિટ ખરીદી તમે મજા માણી શકો છો. જો કે દર વર્ષ લોકોના ધસારાના જોઈને જરૂરિયાત મુજબ ફ્લાવરના દિવસોમાં વધારો પણ કરવામાં આવે છે.
ફ્લાવર શોમાં નવું નજરાણું
આ વર્ષે ફ્લાવર શોમાં અનેક નવીન પ્રકલ્પોનો લોકો આનંદ માણી શકશે.જેમાં ફૂલોના સકલ્પચર, આઇકોનિક સકલ્પચર, ફ્લાવર બુકે અને ફ્લાવર વોલ જેવા આકર્ષણોનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકલ્પો પાછળ અંદાજે 15 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ગત વર્ષે આ ખર્ચ 11 કરોડ રૂપિયાનો હતો.બાગ બગીચાને સજાવતી સામગ્રીના સ્ટોલ પણ મુકવામાં આવ્યા છે.






