Farmer : ગુજરાતમાં ચોમાસાની ઋતુ એ ખેતી માટેનો સૌથી મહત્વનો સમય છે. આ વર્ષે પણ વાવણીનો સમય નજીક આવતા જ અમદાવાદ જિલ્લાના ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ ઉત્સાહ વચ્ચે ખેડૂતોએ પોતાની કિંમતી મૂડી અને મહેનતનું રોકાણ કરતાં પહેલા ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે. અમદાવાદ જિલ્લાના નાયબ ખેતી નિયામક ડૉ. એચ. એમ. બાબરીયાએ ખાસ જણાવ્યું છે કે, ખેડૂતોએ ઉતાવળમાં કે સસ્તી વસ્તુઓની લાલચમાં આવીને બિયારણ કે ખાતરની ખરીદીમાં ભૂલ ન કરવી જોઈએ, કારણ કે એક નાની ભૂલ આખા વર્ષના પાકને નિષ્ફળ બનાવી શકે છે.
ખરીદી માટે અધિકૃત કેન્દ્રોની પસંદગી
બિયારણ અને ખાતર હંમેશા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કેન્દ્રો પરથી જ ખરીદવા જોઈએ. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે કે, ખેડૂતોએ માત્ર લાયસન્સ ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી એજન્સીઓ અથવા નામાંકિત ખાનગી વિક્રેતાઓનો જ આગ્રહ રાખવો. ખાસ કરીને ગામમાં ફરતા અજાણ્યા ફેરિયાઓ કે લાયસન્સ વગરના વ્યક્તિઓ પાસેથી કોઈપણ પ્રકારની કૃષિ સામગ્રી લેવી જોખમી છે. આવા વિક્રેતાઓ પાસે માલની કોઈ ગેરંટી હોતી નથી અને જો પાક નિષ્ફળ જાય તો ખેડૂત પાસે કોઈ કાયદેસરનો પુરાવો રહેતો નથી.
બિલ લેવાનો આગ્રહ અને ટેકનિકલ વિગતોની ચકાસણી
ખેડૂતોએ જાગૃત ગ્રાહક બનીને દરેક ખરીદી વખતે વેપારી પાસેથી 'પાકું બિલ' અવશ્ય માંગવું જોઈએ. આ બિલમાં વેપારીનો સહી-સિક્કો, તેનો લાયસન્સ નંબર, ખરીદેલી વસ્તુનું પૂરું નામ અને સૌથી મહત્વનું એટલે કે 'લોટ નંબર' લખેલો હોવો જોઈએ. બિયારણ કે દવાની થેલી પર લખેલી 'એક્સપાયરી ડેટ' (ઉપયોગ કરવાની છેલ્લી તારીખ) ખાસ તપાસવી. જો મુદત વીતી ગઈ હોય તો તેવી પ્રોડક્ટ લેવાનો સાફ ઇનકાર કરવો, કારણ કે તે જમીન અને પાક બંને માટે ઝેરી સાબિત થઈ શકે છે. બિલ સાચવી રાખવાથી ભવિષ્યમાં કોઈ પણ વિવાદ કે ફરિયાદ વખતે ખેડૂત પોતાનો પક્ષ મજબૂત કરી શકે છે.
2400 આંબા, ઝીરો કેમિકલ અને મીઠાશભરી કેસર કેરી!: યુવા ખેડૂત મહાવીરસિંહ ખુમાણે પ્રાકૃતિક ખેતીથી ઉભું કર્યું અનોખું મોડેલ
જમીનનું સ્વાસ્થ્ય અને ખાતરનો સંતુલિત વપરાશ
આજકાલ વધુ ઉત્પાદન મેળવવાની લાલચમાં રાસાયણિક ખાતરોનો આડેધડ વપરાશ વધ્યો છે. ડૉ. બાબરીયાએ ચેતવણી આપી છે કે યુરિયા કે ડીએપી જેવા ખાતરોનો અતિરેક જમીનની ફળદ્રુપતાને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાની જમીનની ચકાસણી (Soil Testing) કરાવે અને તેમાં રહેલા પોષક તત્વો મુજબ જ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખાતરનો ઉપયોગ કરે. રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે 'પ્રાકૃતિક ખેતી' (Natural Farming) અપનાવવાથી જમીન પણ સુધરશે અને ઉત્પાદન ખર્ચમાં પણ મોટો ઘટાડો થશે. સાબરમતી ખાતે આવેલી નાયબ ખેતી નિયામકની કચેરી દ્વારા આ અંગે નિયમિત તાલીમ આપીને ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
વરસાદના ‘ટપ-ટપ’ અવાજથી જાગે છે બીજ!: વૈજ્ઞાનિકોએ કરી ચોંકાવનારી શોધ
નિંદામણ નિયંત્રણ અને છેતરપિંડી સામે રક્ષણ
પાકની શરૂઆતની વૃદ્ધિ સમયે નિંદામણ (નકામું ઘાસ) એ સૌથી મોટી સમસ્યા છે. જો સમયસર નિંદામણ ન કરવામાં આવે તો તે પાકનો ખોરાક અને પાણી ખેંચી લે છે, જેનાથી ઉત્પાદન ઘટે છે. આ ઉપરાંત, જો ખેડૂતોને બજારમાં કોઈ શંકાસ્પદ કે ભળતા નામવાળી બ્રાન્ડનું વેચાણ થતું જોવા મળે, તો તેમણે તાત્કાલિક જાગૃત થઈને ખેતીવાડી વિભાગને જાણ કરવી જોઈએ. ખેડૂતોની મદદ માટે અમદાવાદ કચેરીનો ટેલિફોન નંબર (079) 27506646 જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગામના ગ્રામસેવકનો સંપર્ક કરીને પણ ખેડૂતો પોતાની ફરિયાદો કે મૂંઝવણનું નિરાકરણ લાવી શકે છે.





