Home Gujarat Ahmedabad Ahmedabad Cyber Fraud Bank Account Racket Busted

અમદાવાદમાં સાયબર ફ્રોડ ગેંગનો ભંડાફોડ! : જરૂરિયાતમંદોના 100થી વધુ બેંક એકાઉન્ટ ખોલાવી છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો

Cyber ​​Crime
Published by: Suman Dabhi
Last Updated: May 19, 2026, 06:28 AM IST

Ahmedabad Cyber ​​Crime: અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઇમને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા લોકોને લલચાવી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવી, તે ખાતાઓ સાયબર ઠગોને પહોંચાડતી ગેંગ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. છેલ્લા 14 મહિનામાં 100થી વધુ બેંક એકાઉન્ટ ખોલાવી દેશભરના સાયબર ફ્રોડમાં તેનો ઉપયોગ કરાયો હોવાની માહિતી સામે આવતા સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે.

અમદાવાદ ઝોન-1 એલસીબી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન નારણપુરા વિસ્તારમાંથી નિરવ શાહ નામના આરોપીની અટકાયત કરવામાં આવી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસે તપાસ દરમિયાન ત્રણ ATM કાર્ડ, એક પાસબુક અને બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. શરૂઆતમાં સામાન્ય શંકાસ્પદ લાગતી આ વસ્તુઓ પાછળ સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક કામ કરી રહ્યું હોવાનો ખુલાસો થયો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી માત્ર બેંક એકાઉન્ટ ખોલાવવાનું કામ જ નહોતો કરતો, પરંતુ એકાઉન્ટ ખોલ્યા પછી મળતી બેંક કીટ – જેમાં ATM કાર્ડ, પાસબુક, ચેકબુક અને મોબાઇલ નંબર જોડાયેલ માહિતી સામેલ હોય છે – તે પણ પોતાની પાસે જ રાખતો હતો. આ તમામ માહિતી અને દસ્તાવેજો બાદમાં સાયબર ગઠિયાઓ સુધી પહોંચાડવામાં આવતા હતા.

જરૂરિયાતમંદ લોકોને લલચાવી ખાતા ખોલાવવાની ચાલાકી

પોલીસ પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે નિરવ શાહ અને તેનો સાથી વિશાલ કોટક છેલ્લા લગભગ 14 મહિનાથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા. તેઓ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જઈ પૈસાની તંગીમાંથી પસાર થતા લોકોનો સંપર્ક કરતા હતા.

આ લોકોને થોડી રકમ આપવાની લાલચ આપી તેમના નામે અલગ અલગ બેંકોમાં સેવિંગ અને કરંટ એકાઉન્ટ ખોલાવવામાં આવતા હતા. ઘણા લોકોને કદાચ એ પણ ખબર નહોતી કે તેમના નામે ખોલાયેલ ખાતાનો ઉપયોગ ભવિષ્યમાં સાયબર ઠગાઈ માટે થવાનો છે.

તપાસમાં દેવ મોઢેરા નામના વ્યક્તિની પણ ભૂમિકા સામે આવી છે. દેવ ચાંદખેડા વિસ્તારના લોકોના બેંક એકાઉન્ટ ખોલાવી આપતો હતો. એકાઉન્ટ ખોલાવવું, બેંક બેલેન્સ જાળવવું, સિમકાર્ડ ખરીદવું અને KYC સંબંધિત ખર્ચ માટેનો નાણાકીય વ્યવહાર વિશાલ કોટક સંભાળતો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.

બેંક કીટ સીધી સાયબર ગઠિયાઓ સુધી પહોંચતી

પોલીસ તપાસ પ્રમાણે, એકાઉન્ટ ખૂલ્યા બાદ તેની સંપૂર્ણ કીટ નિરવ શાહ વિશાલ કોટકને આપતો હતો. ત્યારબાદ વિશાલ આ માહિતી પટેલભાઈ, ગોપાલ પંચાલ અને વિકી નામના અન્ય આરોપીઓને પહોંચાડતો હતો.

આ સમગ્ર નેટવર્કનું મુખ્ય કામ સાયબર ઠગોને તૈયાર બેંક એકાઉન્ટ ઉપલબ્ધ કરાવવાનું હતું. આવી ખાતાઓનો ઉપયોગ સામાન્ય રીતે ઓનલાઈન ઠગાઈ, ફેક ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ, OTP ફ્રોડ, કુરિયર સ્કેમ, ડિજિટલ અરેસ્ટ અને અન્ય પ્રકારની સાયબર છેતરપિંડીમાં કરવામાં આવે છે.

પોલીસના અંદાજ પ્રમાણે અત્યાર સુધી આ ગેંગે 100થી વધુ લોકોના બેંક એકાઉન્ટની વિગતો સાયબર ગઠિયાઓ સુધી પહોંચાડી છે. આ આંકડો વધુ પણ હોઈ શકે છે કારણ કે તપાસ હજુ ચાલુ છે.

દેશભરમાં નોંધાઈ ચૂકેલી સાયબર ક્રાઇમ ફરિયાદો

પોલીસે આરોપી પાસેથી મળેલા બેંક એકાઉન્ટની વિગતોની તપાસ શરૂ કરતાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી. કેટલાક ખાતાઓ વિરુદ્ધ દેશના અલગ અલગ રાજ્યોમાં સાયબર ક્રાઇમની ફરિયાદો પહેલેથી નોંધાઈ ચૂકી છે.

આથી સ્પષ્ટ થાય છે કે અમદાવાદમાંથી સંચાલિત આ નેટવર્ક માત્ર સ્થાનિક સ્તર સુધી મર્યાદિત નહોતું, પરંતુ તેનો ઉપયોગ દેશવ્યાપી સાયબર ઠગાઈ માટે થઈ રહ્યો હતો.

સાયબર ગુનેગારો સામાન્ય રીતે આવા “મ્યુલ એકાઉન્ટ” નો ઉપયોગ કરે છે જેથી મૂળ આરોપી સુધી પોલીસ સરળતાથી પહોંચી ન શકે. ઠગાઈથી મેળવેલી રકમ પહેલા આવા ખાતાઓમાં ટ્રાન્સફર થાય છે અને બાદમાં અલગ અલગ માધ્યમોથી કાઢી લેવામાં આવે છે.

આ ફણ વાંચો: Android યુઝર્સ માટે એલર્ટ! : WhatsApp પર ‘લગ્ન કાર્ડ’ નામે આવી રહી છે ખતરનાક APK ફાઇલ, એક ક્લિકથી ફોન થઈ શકે હેક

પોલીસે એક આરોપીની ધરપકડ કરી, પાંચ હજુ ફરાર

આ સમગ્ર મામલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ નિરવ શાહની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વિશાલ કોટક, દેવ મોઢેરા, પટેલભાઈ, ગોપાલ પંચાલ અને વિકી નામના પાંચ આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.

પોલીસે તમામ આરોપીઓને ઝડપવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. સાથે જ વધુ કેટલા બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો હતો અને કેટલા લોકો આ રેકેટમાં સંડોવાયેલા છે તે દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે.

આ કેસ કેમ મહત્વનો છે?

છેલ્લા કેટલાક વર્ષોમાં સાયબર ક્રાઇમના કેસોમાં ઝડપથી વધારો થયો છે. ઠગાઈ કરતી ગેંગો હવે સીધા લોકોના ખાતાનો ઉપયોગ કરતી નથી પરંતુ ગરીબ અને અજાણ લોકોને પૈસા આપીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવે છે.

આ પ્રકારના કેસોમાં ઘણી વખત મૂળ ખાતાધારક જ મુશ્કેલીમાં મુકાઈ જાય છે કારણ કે તેના નામે સાયબર ક્રાઇમના ટ્રાન્ઝેક્શન નોંધાયેલા હોય છે. તેથી પોલીસ અને બેંકો વારંવાર લોકોને ચેતવણી આપે છે કે કોઈપણ અજાણ વ્યક્તિને પોતાનું બેંક એકાઉન્ટ, ATM કાર્ડ, OTP અથવા KYC દસ્તાવેજો આપવાથી બચવું જોઈએ.

સાયબર સેલના અધિકારીઓના જણાવ્યા મુજબ, કોઈપણ વ્યક્તિએ પોતાના નામે એકાઉન્ટ ખોલાવી તેની કીટ અન્ય વ્યક્તિને સોંપવી કાયદાકીય રીતે ગંભીર ગુનો બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now