શેરબજારમાં આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગમાં રોકાણ કરીને ઊંચું વળતર મેળવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતા એક મોટા રેકેટનો અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ઝડપાયેલો મુખ્ય આરોપી કોઈ સામાન્ય ગુનેગાર નહીં પરંતુ એક વિદ્યાર્થી નેતા છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે આઈપીઓ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનામાં ભાવનગર જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ આર્શમાનખાન બલોચની ધરપકડ કરી છે. આરોપી પર રોકાણકારો પાસેથી 47.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.
આર્શમાનખાન બલોચે આર્થિક ગુનાઓ આચરવા માટે એક સુવ્યવસ્થિત ષડયંત્ર રચ્યું હતું. તેણે પોલીસથી બચવા અને કાળા નાણાંની હેરફેર કરવા માટે એજન્ટો મારફતે બીજાના નામે બેંક ખાતાઓ ખોલાવવાનું નેટવર્ક ઊભું કર્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેણે ધંધુકાના જ એક અન્ય એનએસયુઆઈ કાર્યકરની મદદ લઈને જુદી જુદી બેંકોમાં 11 જેટલા ખાતાઓ મેળવ્યા હતા. આ તમામ 11 બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડના પૈસા જમા કરવા માટે થતો હતો અને આ ખાતાઓ વિરુદ્ધ અત્યાર સુધીમાં રાજ્યભરમાં 27 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે જે આ કૌભાંડની વ્યાપકતા દર્શાવે છે.
પોલીસની સઘન પૂછપરછમાં આ કૌભાંડના તાર વિદેશ સુધી જોડાયેલા હોવાનો મોટો ખુલાસો થયો છે. આર્શમાનખાન બલોચ દુબઈમાં રહેતા ચોકરભાઈ નામના એક શખ્સના સીધા સંપર્કમાં હતો. લોકો સાથે ઓનલાઇન છેતરપિંડી કરીને મેળવેલા રૂપિયા ચોકરભાઈ દ્વારા આર્શમાનખાને ખોલાવેલા એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતા હતા. આ કામગીરી બદલ આર્શમાનખાનને તગડું કમિશન મળતું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીએ અત્યાર સુધીમાં માત્ર કમિશન પેટે જ 1.50 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ મેળવી લીધી છે. હાલમાં સાયબર ક્રાઈમની ટીમ દુબઈ સ્થિત મુખ્ય સૂત્રધાર ચોકરભાઈ સુધી પહોંચવા અને આ આંતરરાષ્ટ્રીય રેકેટના મૂળ સુધી જવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.





















