ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર પોલીસ સક્રિય થઈ છે.અસામાજિક તત્વો અને માથાભારે તત્વો ની પ્રવુત્તિઓ પર નજર રાખવા તથા આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહીની પરંપરા અને ઉચ્ચ સ્તરેથી મળેલા આદેશો મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત શહેર પોલીસની તમામ એજન્સીઓ સક્રિય બની છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગનો એક સાગરીત મનોજ સાલ્વી અમદાવાદમાં સક્રિય થયો છે અને હાલ રાજસ્થાનના ઉદયપુરમાં છે. ગત રાત્રે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ આયોજન ઘડી તેણે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે.
ગુજરાત એ.ટી.એસ. દ્વારા વર્ષ 2022માં એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલ આર્મ્સ એક્ટના ગુનામાં મનોજ સાલવી છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હતો,ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમી આધારે રાજસ્થાનના ઉદયપુરમાંથી ઝડપી પાડી અમદાવાદની એલિસબ્રિજ પોલીસને સોંપ્યો છે.
મનોજ સાલવી વિરુદ્ધ શું છે આરોપ ?
તા.૧૪/૧૨/૨૦૨૨ ના રોજ એલિસબ્રિજ માં આવેલ પંચવટી સર્કલ પાસે શીવાલીક કોમ્પલેક્ષમાં આનંદ રેસ્ટોરન્ટની આગળ થી રુપાલાલ ભવરલાલ સાલ્વીને દેશી બનાવટની પિસ્ટલ તથા કારતુસ સાથે ગુજરાત એ.ટી.એસ. દ્વારા પકડવામાં આવેલ. આરોપી રૂપાલાલની પુછપરછમાં આ પિસ્ટલ મનોજ ઉર્ફે ચક્કી શંકરજી સાલ્વીએ આપી હોવાની કબૂલાતના આધારે મનોજ સાલવીને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો.
મનોજ સાલ્વી વિરુદ્ધ ૧૨ જેટલા ગુનાઓ
21 વર્ષીય મનોજ ઉર્ફે ચક્કી શંકરલાલ સાલ્વી રાજસ્થાનના ઉદયપુરના ધીરવા તાલુકાના બોરી ગામનો રહેવાસી છે. અગાઉ સુખદેવ ગોગામેડી હત્યા કેસમાં પણ તેની ધરપકડ થઈ હતી.મનોજ વિરુદ્ધ રાજસ્થાનના જુદા જુદા પોલીસ મથકો ઉપરાંત દિલ્હીમાં પણ ગુનાઓ નોંધાયેલ છે. અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશન સહિત અત્યાર સુધી તેની વિરુદ્ધ કુલ 12 ગુનાઓ નોંધાયેલ છે.






