અમદાવાદના જમાલપુર સ્થિત ઐતિહાસિક શ્રી જગન્નાથ મંદિરેથી અષાઢી બીજના પાવન દિવસે 149મી જગન્નાથ રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો. પરંપરાગત 'પહિંદ' વિધિ બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથના રથને ખેંચીને યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. મંદિર પરિસર અને સમગ્ર શહેર 'જય જગન્નાથ' તેમજ 'જય રણછોડ માખણ ચોર'ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને પ્રથમ રથ મંદિરના પટાંગણમાંથી બહાર નીકળતા ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો. જુઓ રથયાત્રાના ડ્રોન શૉટ...
ડ્રોન કેમેરામાં કેદ થયેલા દૃશ્યો અમદાવાદની આ ઐતિહાસિક રથયાત્રાની ભવ્યતાને અનોખી રીતે રજૂ કરે છે. આકાશમાંથી કેદ થયેલા વીડિયોમાં હજારો શ્રદ્ધાળુઓની ભીડ, સુશોભિત રથો, પરંપરાગત અખાડાઓના ખેલ, ભજનમંડળીઓ, સુરક્ષા વ્યવસ્થા અને સમગ્ર રથયાત્રા માર્ગનો અદ્ભુત નજારો જોવા મળે છે. શહેરની મુખ્ય સડકો પર આસ્થાનો મહાસાગર ઊમટ્યો હોય તેવા દૃશ્યો ડ્રોન ફૂટેજમાં સ્પષ્ટપણે નજરે પડે છે.





